કેન્દ્ર સરકારના બજેટ અંગે ડી.આર.યુ.સી.સી. સભ્યએ પ્રતિક્રિયા આપી સિનિયર સિટિઝન માટેની રાહતો અને બંધ ટ્રેનોના પુનઃપ્રારંભ અંગે ગંભીરતાથી વિચાર કરી આગામી સમયમાં હકારાત્મક નિર્ણય લેવામાં આવે તેવી સરકાર અને રેલવે પ્રશાસનને અપીલ કરી છે.
વડોદરા ડિવિઝનના ડી.આર.યુ.સી.સી. (ડિવિઝનલ રેલવે યુઝર્સ કન્સલટેટીવ કમિટિ) ના સભ્ય મોહમ્મદ હબીબ લોખંડવાલાએ ગઈકાલે રજૂ થયેલા કેન્દ્ર સરકારના બજેટ અંગે પોતાની નિરાશા વ્યક્ત કરી છે.
તેમણે જણાવ્યું હતું કે, બજેટમાં સિનિયર સિટિઝન માટે રેલવે ભાડામાં આપવામાં આવતી રાહત (કન્સેશન )ફરી શરૂ કરવાની જાહેરાત થશે એવી સમાજના વડીલોને પૂરી આશા હતી, પરંતુ આ મુદ્દે કોઈ સ્પષ્ટ નિર્ણય જાહેર ન થતા ભારે નિરાશા ફેલાઈ છે.
સમાજના વડીલોને મુસાફરીમાં રાહત મળે તે માટે રેલવે કન્સેશન ફરી અમલમાં લાવવું સમયની માગ હતી. કોરોના કાળ બાદ વધેલા ભાડા અને મોંઘવારી વચ્ચે વડીલ નાગરિકો પર વધતો આર્થિક બોજ ઘટાડવા માટે સરકાર તરફથી નક્કર પગલાં લેવાશે એવી અપેક્ષા હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બીજી એક મહત્વની આશા વેસ્ટર્નઝોનમાં કોરોના સમયગાળા દરમિયાન બંધ કરવામાં આવેલી કેટલીક ટ્રેનો ફરી શરૂ કરવાની હતી. આ અંગે પણ બજેટમાં કોઈ જાહેરાત ન થવાથી મુસાફરોની આશા ઠગારી નીવડી છે. આ ટ્રેનો શરૂ થાય તો રોજિંદા મુસાફરો, વડીલો અને મધ્યવર્ગને મોટો ફાયદો થાત, તેમ છતાં આ મુદ્દે સરકાર દ્વારા કોઈ દિશાનિર્દેશ ન મળતા રેલ યૂઝર્સમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.


