Vadodara : વડોદરા શહેરમાં આગામી તા.8 જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે, ત્યારે સ્થાનિક આંગણવાડીના 30થી 40 જેટલા બાળકોને હજુ સુધી શાળામાં પ્રવેશ ન મળતા વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તમામ કાયદેસરના દસ્તાવેજો અને સહી-સિક્કાવાળા સરકારી પ્રમાણ પત્રો હોવા છતાં એડમિશન ન મળતા આક્રોશિત વાલીઓ આજે રજૂઆત કરવા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી પહોંચ્યા હતા.
મીડિયા સમક્ષ પુરાવા દર્શાવતા પીડિત વાલી અનીસખાન પઠાણે આક્ષેપ કર્યો હતો કે, અધિકારીઓ આ બાબતે હાથ અધ્ધર કરી રહ્યા છે અને કોઈ સંતોષકારક જવાબ આપતા નથી. વાલીઓએ શિક્ષણ વિભાગ પર ભ્રષ્ટાચારનો ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે, જો સર્ટિફિકેટ હોવા છતાં ગરીબ બાળકોને પ્રવેશ નહીં મળે તો તેમનું આખું વર્ષ બગડશે. વાલીઓએ તંત્ર પાસે તાત્કાલિક ન્યાયની માંગ કરી છે.


