B-Com Exam Issue In Panchmahal: પંચમહાલની ગુરુ ગોવિંદ યુનિવર્સિટીના વહીવટી તંત્રની મોટી બેદરકારી સામે આવી છે. આજે (30મી માર્ચ) લેવાયેલી બી.કોમ સેમેસ્ટર-4ની પરીક્ષામાં બિઝનેસ મેનેજમેન્ટ વિષયના પેપરમાં સેમેસ્ટર-2ના પ્રશ્નો પૂછાતા પરીક્ષા કેન્દ્રો પર વિવાદ સર્જાયો હતો. કાલોલની એમ. એમ. ગાંધી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આ છબરડો બહાર આવતા યુનિવર્સિટીએ તાત્કાલિક નવું પેપર મેઈલ કરવાની ફરજ પડી હતી.
વિદ્યાર્થીઓએ ધ્યાન દોરતા છબરડો પકડાયો
મળતી માહિતી અનુસાર, આજે B.Com સેમેસ્ટર-4ના બિઝનેસ મેનેજમેન્ટ વિષયની પરીક્ષા શરૂ થયાના થોડા સમય બાદ વિદ્યાર્થીઓના ધ્યાન પર આવ્યું હતું કે પ્રશ્નપત્રમાં પૂછાયેલા પ્રશ્નો તેમના ચાલુ સિલેબસના નથી, પરંતુ સેમેસ્ટર-2ના છે. વિદ્યાર્થીઓએ આ બાબતે સુપરવાઈઝરનું ધ્યાન દોરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ આ અન્ય સેમેસ્ટરના અથવા સિલેબસ બહારના પ્રશ્નો હોવાનું જણાતા પરીક્ષાની કામગીરી અટકાવી દેવામાં આવી હતી.
યુનિવર્સિટીએ મેઈલ દ્વારા નવું પેપર મોકલ્યું
આ ગંભીર છબરડાની જાણ યુનિવર્સિટીના અધિકારીઓને કરવામાં આવતા, યુનિવર્સિટીએ તાત્કાલિક જૂના પેપર પરત લઈ લેવાની સૂચના આપી હતી. ત્યારબાદ નવું પ્રશ્નપત્ર મેઈલ દ્વારા મોકલવામાં આવ્યું હતું, જેની પ્રિન્ટ કઢાવીને વિદ્યાર્થીઓને ફરીથી વિતરણ કરવામાં આવ્યું હતું. આ આખી પ્રક્રિયાને કારણે પ્રશ્નપત્ર વહેંચણીની સિસ્ટમ ખોરવાઈ ગઈ હતી.
'પેપર લીક નથી, પ્રિન્ટિંગ મિસ્ટેક છે'
કાલોલની એમ. એમ. ગાંધી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના સીનિયર સુપરવાઈઝર ડો. હરેશ સુથારે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, 'આજે B.Com સેમ-4ના પેપરમાં અન્ય સેમેસ્ટરના પ્રશ્નો પૂછાયા હોવાની જાણ થતા યુનિવર્સિટીનો સંપર્ક કરાયો હતો. યુનિવર્સિટીની સૂચના મુજબ જૂના પેપર પરત લઈ નવા પેપર મેઈલ દ્વારા મેળવીને વિતરણ કરાયા છે. વિદ્યાર્થીઓને નવું પેપર લખવા માટે સંપૂર્ણ બે કલાકનો વધારાનો સમય ફાળવવામાં આવ્યો હતો. આ કોઈ પેપર લીક થવાની ઘટના નથી, પરંતુ સિલેબસ બદલાવાને કારણે થયેલી પ્રિન્ટિંગ મિસ્ટેક હોઈ શકે છે. પ્રશ્નપત્રનું મથાળું, તારીખ અને સમય સાચો હતો, માત્ર અંદરના પ્રશ્નોમાં જ ભૂલ હતી.'


