Gujarat

૧૯૫૯માં ભારતના આ જીલ્લામાં પંચાયતી રાજનો પ્રથમવાર અમલ થયેલો

By GS Team
24 Nov 20212 mins read
This article was originally published on 24 Nov 2021
૧૯૫૯માં ભારતના આ જીલ્લામાં પંચાયતી રાજનો પ્રથમવાર અમલ થયેલો

અમદાવાદ,૨૪ નવેમ્બર,૨૦૨૧

 ગુજરાતમાં ૧૦ હજારથી વધુ ગ્રામ પંચાયતની ચુંટણીઓની જાહેરાત થઇ છે. ૧૯૬૦માં  ગુજરાત રાજયની સ્થાપના થયા પછી સરકારી ધોરણે પંચાયતી રાજ અમલમાં મુકવામાં આવ્યું હતું. આથી આ પંચાયતી રાજની વ્યવસ્થાના કારણે સંસદથી ચાલતો વહિવટ અંતરિયાળ ગ્રામિણ વિસ્તારો સુધી પહોંચી રહયો છે. જો કે શાસનમાં  ગ્રામીણ વિસ્તારોને પણ જોડવા માટે ભાગીદાર બનાવવાની પરંપરાગત વ્યવસ્થા ખૂબજ પ્રાચીન છે. પંચાયત એ માત્ર ભારત જ નહી દક્ષિણ એશિયાના દેશો પાકિસ્તાન,બાંગ્લાદેશ,નેપાળ અને શ્રીલંકાની પણ આગવી ઓળખ છે.૧૯૪૭માં દેશ આઝાદ થયા પછી જવાહરલાલ નેહરુએ લોકશાહી દેશના વહિવટના વિક્ેન્દ્રીકરણ માટે પંચાયતી રાજનો મહત્વ આપ્યું હતું. ભારતમાં ઇસ ૧૯૫૯માં ૨ ઓકટોબરના રોજ પ્રથમ પંચાયતી રાજ સિસ્ટમનો અમલ રાજસ્થાનના નાગોર જિલ્લામાં થયો હતો.


ઇસ ૧૯૫૭માં બળવંતરાય મહેતા સમિતિએ પંચાયતી રાજ વ્યવસ્થા અંગે કરેલી મોટા ભાગની ભલામણોનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.જો કે રાજસ્થાન બાદ ગુજરાત,મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં પંચાયતીરાજનો ક્રમશ અમલ શરૃ થયો હતો.પંચાયતી રાજમાં સુધારણા લાવીને તેને વધુ મજબુત બનાવવા માટે સમયાંતરે નિષ્ણાતોની સમિતિઓ પણ બનતી રહેલી જે સરકારમાં પોતાનો ભલામણ રીપોર્ટ આપ્યા હતા.૨૪ એપ્રિલ ૧૯૯૩માં બંધારણમાં ૭૩માં સુધારા અંર્તગત પંચાયતીરાજ સંસ્થાઓને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો હતો.આથી પંચાયતી રાજની સિસ્ટમમાં લોકોની ભાગાદારી વધશે અને ગાંધીજીની ગ્રામ સ્વરાજની કલ્પના સાકાર થશે એવી આશા રાખવામાં આવી હતી


પરંતુ પંચાયતી રાજને બંધારણીય સત્તાઓ છતાં દેશમાં તાલુકાઓના અંતરીયાળ ગ્રામીણ વિસ્તારોનું ચિત્ર ખાસ બદલાયું નથી.છેવાડાના માનવીઓને લાભો પહોંચાડવા માટે યોજનાઓ તો અનેક બની છે પરંતુ તેના અમલીકરણ અને વિતરણ સિસ્ટમમાં છીંડા હોવાથી આમ આદમી લાભાન્વિત થઇ શકયો નથી.ગ્રામીણ થી માંડીને જિલ્લા સુધીની લોકલબોડીમાં ભષ્ટાચાર વધતો જાય છે. આથી જ તો આ લોકલ બોડીઓ વિવાદો,અરજીઓ અને ફરિયાદોથી ભરેલી રહે છે.પક્ષા પક્ષી અને જ્ઞાતિવાદના વધતા જતા રાજકારણે પંચાયતી રાજની સિસ્ટમને લૂણો લગાડયો છે.