Get The App

પીજમાં પીવાના પાણી મુદ્દે પંચાયત કચેરીએ માટલા ફોડી ઉંદરની 'સ્મશાન યાત્રા' કાઢી

Updated: Apr 1st, 2026

GS TEAM

Google News
Google News
પીજમાં પીવાના પાણી મુદ્દે પંચાયત કચેરીએ માટલા ફોડી ઉંદરની 'સ્મશાન યાત્રા' કાઢી 1 - image

- પીવાના પાણીના ટેન્કરમાંથી મરેલો ઉંદર નીકળતા ગ્રામજનો રોષે ભરાયા

- ગામમાં 4 પાણીની ટાંકીઓ અને 12 પંચાયતી બોર હોવા છતાં છેલ્લા 5 દિવસથી પાણી પુરવઠો ખોરવાતા ભારે હાલાકી : ગ્રામજનોએ આ ઘટનાને બેદરકારી ગણાવી કાયમી ઉકેલની માંગ કરી

નડિયાદ : ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના પીજ ગામે છેલ્લા પાંચ દિવસથી પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. પંચાયત દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા તરીકે મોકલાયેલા પાણીના ટેન્કરમાંથી મરેલો ઉંદર નીકળતા ગ્રામજનોનો રોષ ફાટી નીકળ્યો હતો. ઉશ્કેેરાયેલા લોકોએ પંચાયત કચેરીએ માટલાં અને ડોલ ફોડી તંત્રની બેદરકારી સામે ફિટકાર વરસાવ્યો હતો. ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે, પંચાયત વેરો ઉઘરાવવામાં તત્પર રહે છે, પરંતુ સુવિધા આપવામાં નિષ્ફળ નીવડી છે. ગ્રામજનોએ આ ઘટનાને તંત્રની ગંભીર બેદરકારી ગણાવી કાયમી ઉકેલની માંગ કરી હતી.

નડિયાદના પીજ ગામમાં ૪ પાણીની ટાંકીઓ અને ૧૨ પંચાયતી બોર હોવા છતાં છેલ્લા ૫ દિવસથી પાણી પુરવઠો ખોરવાતા ગૃહિણીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની તંગીને પગલે ગ્રામજનોએ પંચાયત પાસે ટેન્કરની માંગણી કરી હતી. પંચાયત દ્વારા મોકલાયેલા ટેન્કરમાંથી ગ્રામજનોએ પાણી ભરી લીધા બાદ જ્યારે ટેન્કર ખાલી થવા આવ્યું ત્યારે અંદરથી મરેલો ઉંદર નીકળતા લોકો ચોંકી ઉઠયાં હતા. આ ગંદુ પાણી પીવાના કારણે બીમારી ફેલાવવાની દહેશત સાથે લોકોએ પંચાયત કચેરીએ પહોંચી સૂત્રોચ્ચાર કર્યા હતા અને મરેલા ઉંદરની પ્રતિકાત્મક યાત્રા કાઢી વહીવટ સામે સવાલો ઉઠાવ્યા હતા. સ્થાનિક મહિલાઓએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, ગામમાં પાણીની સમસ્યા વિકટ છે અને જે ટેન્કર મોકલાયું તેમાં મરેલો ઉંદર નીકળતા લોકોના આરોગ્ય સાથે ચેડાં થયા છે. લોકોએ આ પાણીનો વપરાશ કરી લીધા બાદ હવે જો કોઈ બીમાર પડશે તો તેની જવાબદારી કોણ લેશે તેવો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે, પંચાયત વેરો ઉઘરાવવામાં તત્પર રહે છે, પરંતુ સુવિધા આપવામાં નિષ્ફળ નીવડી છે. ગ્રામજનોએ આ ઘટનાને તંત્રની ગંભીર બેદરકારી ગણાવી કાયમી ઉકેલની માંગ કરી હતી.

બીજી તરફ ગામના સરપંચ શીતલબેન તડવીએ જણાવ્યું હતું કે, પાણીનો વાલ્વ જામ થઈ જવાથી સમસ્યા સર્જાઈ છે, જેનું સમારકામ ચાલુ છે. તેમણે દાવો કર્યો હતો કે, પાણીનો પુરવઠો રવિવાર સાંજથી જ બંધ થયો છે અને હાલ ધીમા ફોર્સથી પાણી અપાઈ રહ્યું છે. ટેન્કરમાંથી ઉંદર નીકળવાની ઘટનાને તેમણે શંકાસ્પદ ગણાવી હતી અને જણાવ્યું હતું કે, છેલ્લા ૪ વર્ષથી ટેન્કરથી પાણી અપાય છે પણ આવું ક્યારેય બન્યું નથી. આ ઘટના પંચાયતને હેરાન કરવા માટેનું કોઈનું કૃત્ય હોઈ શકે છે, તેમ કહી તેમણે આ મામલે રૂબરૂ તપાસ કરવાની ખાતરી આપી હતી.

પંચાયતની કામગીરી સામે સવાલ

ગામમાં ૧૨ જેટલા સરકારી બોર અને ૪ વિશાળ ટાંકીઓ ઉપલબ્ધ હોવા છતાં ઉનાળાની શરૂઆતમાં જ પીજ ગામના લોકોને પાણી માટે ટેન્કર પર નિર્ભર રહેવું પડયું છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે, પંચાયત પાસે કોઈ ચોક્કસ મેનેજમેન્ટ નથી, જેના કારણે આવી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. દૂષિત પાણીના પુરવઠાને કારણે સ્થાનિકોમાં રોગચાળાની દહેશત અને રોષ જોવા મળી રહ્યો છે.