યુનિ.કેમ્પસમાં આરતી, પૂજા, દીપ પ્રાગટય બંધ કરાવવાની જરુર, પ્રોફેસરનો ખુલ્લો પત્ર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગના હેડે યુનિવર્સિટીમાં યોજાતા કાર્યક્રમોમાં દીપ પ્રાગટય જેવી પરંપરાઓને ધાર્મિક ગણાવીને તેની સામે વાંધો ઉઠાવ્યો છે અને આ બાબતે વાઈસ ચાન્સેલરને ખુલ્લો પત્ર લખીને વિવાદ છેડયો છે.
હેડ જાગૃત ગડિતે પત્રમાં લખ્યું છે કે, દેવી દેવતાની હાર પહેરાવાયેલી પ્રતિમા સમક્ષ દીવો પ્રગટાવવો, હાથ જોડવા આ બધુ ધાર્મિક અનુષ્ઠાનનું સ્વરુપ છે અને સરકારી યુનિવર્સિટીના મંચ પર આ પ્રકારની ધાર્મિક વિધિ કરવી એ બંધારણના મૂળભૂત માળખા સાથે સુસંગત નથી.વ્યક્તિગત ધાર્મિક માન્યતાઓને જાહેર યુનિવર્સિટી પર થોપવાની જરુર નથી.
આ અધ્યાપકે ફેકલ્ટીના ઓડિટોરિયમની દીવાલ પર લગાડાયેલી મા સરસ્વતીના ફોટો સામે પણ વાંધો લઈને પત્રમાં લખ્યું છે કે, દેવી દેવતાનું જ્યાં સ્થાન ના હોય ત્યાં મૂર્તિ કે ફોટો મૂકવો એ આધ્યાત્મિક પવિત્રતાને હાનિ પહોંચાડવાનું કામ છે.આ ફોટો હટાવી લેવામાં આવે તો મા સરસ્વતી પ્રસન્ન થશે.યુનિવર્સિટીમાં ધાર્મિક વિધિ વધી ગઈ છે અને કોઈ પણ નવી સુવિધાનું લોકાર્પમ થાય તો પણ ધાર્મિક વિધિ કરાવાય છે.મારી અપીલ છે કે, કેમ્પસમાં આરતી, પૂજા અને કથા જેવી ધાર્મિક વિધિઓ યોજવામાં ના આવે.




