Get The App

PMની ઈંધણ કરકસરની અપીલ ઉવેખી પદાધિકારીઓ દ્વારા ધુમાડો

Updated: May 11th, 2026

GS TEAM

Google News
Google News
PMની ઈંધણ કરકસરની અપીલ ઉવેખી પદાધિકારીઓ દ્વારા ધુમાડો 1 - image

અગત્યના જ કામ પૂરતી જ ગાડી વાપરી દાખલો બેસાડવો જોઈએ : મનપાના હોદ્દેદારોની 4 ગાડી પાછળ મહિને 2 લાખનાં ઈંધણનો વપરાશ : હવે મેચ જોવા કાર્યકરોને અમદાવાદ લઈ જવાશે 

જૂનાગઢ, : એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલથી ઇંધણ બચાવવા માટે જનતાને અપીલ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ જૂનાગઢ મહાપાલિકાના પદાધિકારીઓ પ્રજાના ટેક્સના પૈસે જલસા કરી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. પ્રબુધ્ધ નાગરિકોમાં મનપાના શાસકોની આડેધડ ઉડાઉગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે.

થોડા સમય પૂર્વે જ મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન માટે નવીનકોર ઈનોવા કાર ખરીદવામાં આવી છે. જ્યારે શાસક પક્ષના નેતાને પણ ઈનોવા કાર ફાળવવામાં આવી છે. આ લક્ઝુરિયસ ગાડીઓમાં દર મહિને અંદાજે બે લાખ રૃપિયાનું ઇંધણ વપરાઈ રહ્યું છે. જનતા પૂછી રહી છે કે, આ પ્રજાના પરસેવાની કમાણીનો સદુપયોગ છે કે દુરૃપયોગ ? જૂનાગઢ ભાજપના પદાધિકારીઓ વડાપ્રધાનની અપીલને ગંભીરતાથી લેશે  કે પીએમની અપીલની અવગણના કરશે ? તે એક સવાલ છે.

જૂનાગઢના જાગૃત નાગરિકોની સ્પષ્ટ માંગ છે કે જો મનપાના પદાધિકારીઓ ખરેખર વડાપ્રધાનના આદર્શોમાં માનતા હોય તો તેમણે સૌપ્રથમ પોતાની સરકારી ગાડીઓનો મોહ ત્યાગીને ખૂબ જ અગત્યના જ કામ પુરતી જ ગાડી વાપરી ઇંધણ બચતની શરૃઆત પોતાનાથી કરવી જોઈએ.

અમદાવાદ ક્રિકેટ મેચ જોવા જવાનો કાર્યક્રમ ટીકાપાત્ર

અમદાવાદ ખાતે ગુજરાત અને હૈદરાબાદ વચ્ચે યોજાનાર ક્રિકેટ મેચ જોવા માટે કાર્યકરો અને હોદ્દેદારોને નિઃશુલ્ક લઈ જવાની જાહેરાત જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ દ્વારા થોડા દિવસ પહેલા કરાઈ છે. વિશ્વસનીય સૂત્રો મુજબ અમદાવાદ મેચ જોવા જવા માટે મનપા દ્વારા ફાળવાયેલી કારનો પણ ઉપયોગ થવાની શક્યતા છે. જો આ સાચું હોય, તો તે સત્તાનો નર્યો દુરૃપયોગ અને શિષ્ટાચારના લીરાં ઉડાડવા સમાન છે.