Gujarat

વિદેશથી આવતા મુસાફરોના RT-PCR નહીં થતા હોવાની ફરિયાદો

By GS Team
29 Nov 20212 mins read
This article was originally published on 29 Nov 2021
વિદેશથી આવતા મુસાફરોના   RT-PCR  નહીં થતા હોવાની ફરિયાદો

અમદાવાદ, રવિવાર

કોરોના વાયરસનો નવો વેરિઅન્ટ મળી આવતાં સમગ્ર વિશ્વમાં ફફડાટ ફેલાઇ ગયો છે અને ફરી એક વખત ભયાવહ સ્થિતિ સર્જાવવાની ભીતિ સર્જાઇ છે. વિદેશથી આવતા મુસાફરોના સઘન ટેસ્ટિંગ-કડક ક્વોરેન્ટાઇન કરવાની તજજ્ઞાોની માગ છે. હાલની આ સ્થિતિમાં એકાદ નાનકડી ગફલત પણ મોટી આફતનું સ્વરૃપ સર્જી શકે એમ છે. પરંતુ અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ખાળે ડૂચા, દરવાજે મોકળા જેવી સ્થિતિ છે. અમદાવાદ એરપોર્ટ ખાતે વિદેશથી આવતા મુસાફરોના RT-PCR  ટેસ્ટ જ નહીં કરાતા હોવાની ફરિયાદો સામે આવી રહી છે.

ગુજરાત સરકારે ભારત સરકારની ગાઇડલાઇન પ્રમાણે ૧૧ દેશમાંથી આવતા પ્રવાસીઓનું કડક સ્ક્રીનિંગ કરવાનો આદેશ આપ્યો છે. જેમાં યુરોપ, યુકે, સાઉથ આફ્રિકા, બ્રાઝિલ, બાંગલાદેશ, બોત્સવાના, ચીન, મોરેશિયસ, ન્યૂઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, હોંગકોંગના મુસાફરોના સ્ક્રીનિંગનો સમાવેશ થાય છે. જોકે, વિદેશથી આવતા મુસાફરોને અમદાવાદ એરપોર્ટ ખાતે આરટી-પીસીઆર ટેસ્ટ વિના જ જવા દેવામાં આવતા હોવાની ફરિયાદો સામે આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિદેશથી જે મુસાફરો આવે તેમનો આરટી-પીસીઆર થવો જોઇએ. જેના સ્થાને માત્ર દેખાડા પૂરતું ટેમ્પરેચર, ૭૨ કલાક અગાઉનો આરટી-પીસીઆર ચકાસીને તેમને જવા દેવામાં આવે છે.

છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદ એરપોર્ટ ખાતે આરટી-પીસીઆરની સુવિધા જ બંધ છે. પ્રાપ્ત વિગત અનુસાર વિદેશથી આવતા મુસાફરોનો આરટી-પીસીઆર ટેસ્ટ કરાતો નથી. ડોમેસ્ટિક એરપોર્ટમાં હાલ રીસ્ટ્રક્ચરિંગની કામગીરી ચાલી રહી છે. જેના કારણે તમામ ડોમેસ્ટિક ફ્લાઇટના એરાઇવલ-ડિપાર્ચર ઇન્ટરનેશનલ ટર્મિનલમાંથી કરવામાં આવે છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય મુસાફર આસાનીથી ડોમેસ્ટિક મુસાફરમાં કોરોનાનો નવો વેરિઅન્ટ ફેલાવી શકે છે. આમ, કોરોનાના નવા વેરિઅન્ટના આગમન છતાં વહિવટી તંત્રમાં હજુ ગંભીરતા નહીં હોવાનું જણાય છે.

અમદાવાદ એરપોર્ટ ખાતે હાલ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ, જિલ્લા પંચાયત, કોર્પોરેશનની ટીમોને જુદી જુદી કામગીરી સોંપાઈ  છે. વિદેશી મુસાફરોના આર-ટીપીસીઆરની કામગીરી ખાનગી લેબને સોંપવામાં આવી છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી તેનું કાઉન્ટર જ બંધ હોવાની ફરિયાદો સામે આવી છે. જોકે, આ ફરિયાદોનું હજુ સમર્થન મળી શક્યું નથી.  વિદેશથી જે મુસાફરો આવે તેમનો આરટી-પીસીઆર રીપોર્ટ આવે નહીં ત્યાં સુધી તેમને એરપોર્ટથી બહાર જ નહીં જવા દેવાની વ્યવસ્થા હોવી જોઇએ. આ માટે એરપોર્ટ ટર્મિનલમાં જ આ મુસાફરો માટે આઇસોલેશન ઝોન બનાવવાની જરૃર છે.

કોરોનાની હાલની આ સ્થિતિમાં તકેદારી ખૂબ જ જરૃરી છે તેમ ડોક્ટરોનું માનવું છે. અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડો. ભરત ગઢવીએ જણાવ્યું કે, 'આફ્રિકાના દેશો, હોંગકોંગમાંથી આવતા પ્રવાસીઓનું સઘન સ્ક્રીનિંગ થવું જોઇએ. એટલું જ નહીં તેમને કડક રીતે હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવે તે પણ જરૃરી છે. હાલની આ સ્થિતિમાં હકીકતમાં વિદેશથી આવતો મુસાફર ફૂલ્લી વેક્સિનેટેડ હોય તો જ તે ટિકિટ બૂક કરાવી શકે તેવી વ્યવસ્થા થવી જોઇએ. '