Gujarat

જામનગર શહેરમાં આજે કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો નોંધાતાં કોરોના મામલે રાહતના સમાચાર

By GS Team
24 Jan 20223 mins read
This article was originally published on 24 Jan 2022
જામનગર શહેરમાં આજે કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો નોંધાતાં કોરોના મામલે રાહતના સમાચાર

- છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના સંક્રમિત થયેલા દર્દી કરતા કોરોના મુક્ત થયેલા દર્દીઓનો આંકડો વધુ

- જામનગર શહેરના 138 કેસ નોંધાયા જ્યારે 203 દર્દી કોરોના મુક્ત થયા: ગ્રામ્ય વિસ્તારના 42 કેસ સામે 32 દર્દી કોરોના મુક્ત થયા

- જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન આજે વધુ એક દર્દીએ દમ તોડયો: અન્ય 64 દર્દીઓ સારવાર હેઠળ: ચાર ગંભીર

જામનગર, તા. 24

જામનગર શહેર અને જિલ્લાના કોરોનાના કેસ મામલે ધરખમ ઉછાળો નોંધાયા પછી આખરે તેમાં રાહત જોવા મળી છે, અને આજે સમગ્ર જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસ કરતાં કોરોના મુક્ત થનારા દર્દીઓનો આંકડો વધુનો છે. જેથી જામનગર મહાનગરપાલિકા તથા જિલ્લા પંચાયતના આરોગ્ય તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરના 138 નવા કેસ સામે આવ્યા છે, જેની સામે 203 દર્દી કોરોના મુક્ત થયા છે. તે જ રીતે ગ્રામ્ય વિસ્તારના નવા 42 કેસ નોંધાયા છે, જ્યારે 32 દર્દી કોરોના મુક્ત થયા છે. સરકારી જી.જી.હોસ્પિટલના કોવિડ વિભાગમાં એક કોરોના ગ્રસ્ત દર્દીએ આજે સવારે દમ તોડયો છે. તેમજ હજુ 64 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે. જે પૈકી ચાર દર્દીની હાલત ગંભીર છે.

જામનગર શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ બેકાબુ બન્યા પછી આજે તેમાં ધરખમ ઘટાડો નોંધાયો છે, અને જામનગર શહેરના છેલ્લા 24 કલાક દરમિયાન 138 કેસ નોંધાયા છે. જ્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 24 કલાક દરમિયાન 203 દર્દીઓને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા છે. તે જ રીતે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં આજે કોરોના ના કેસ મામલે ઘણી રાહત જોવા મળી છે, અને માત્ર 42 પોઝિટિવ કેસ નોંધાયા છે. જયારે 32 દર્દીઓને કોરોના મુક્ત જાહેર કરાયા છે.

જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં ધ્રોળ માં -2, જોડિયામાં-2, જામનગર તાલુકામાં-8, જામજોધપુરમાં -15, કાલાવડમાં -13, અને લાલપુરમાં 2, સહિત 42 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા રવિવારના દિવસે પણ કોરોના પરીક્ષણની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી, અને છેલ્લા 24 કલાક દરમિયાન 2,357 કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. તે જ રીતે જામનગર ગ્રામ્યના 1,856 સહિત સમગ્ર જિલ્લામાં 4,213 પરીક્ષણ કરી લેવામાં આવ્યા છે.

જામનગરની સરકારી જી.જી હોસ્પિટલમાં આજની તારીખે કૂલ 64 દર્દીઓ કોરોનાની સારવાર મેળવી રહ્યા છે, ત્યારે એક દર્દીએ દમ તોડી દીધો છે. જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં શેરી નં 55માં રહેતા તુલજાબેન ચમનલાલ કટારમલ નામના 63 વર્ષીય વૃદ્ધ મહિલા કે જેઓને કોરોના ની સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલ ના કોવિડ વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં આજે સવારે સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નિપજયું છે, અને કોવિડ પ્રોટોકોલ મુજબ તેઓની અંતિમ ક્રિયા કરવામાં આવી છે.

જામનગરની સરકારી જી.જી હોસ્પિટલ ના કોવિડ વિભાગમાં જામનગર શહેર અને જિલ્લાના તેમજ દેવભૂમિ દ્વારકાના મળીને કુલ 64 દર્દીઓ દાખલ છે, જે પૈકીના ચાર દર્દીની હાલત નાજુક છે, અને તેઓને વેન્ટિલેટર પર રખાયા છે. અને સઘન સારવાર અપાઇ રહી છે.