Get The App

એસ.જી.હાઈવે ઉપર મકરબા પાસે આવેલા સોલિટેયર બિઝનેસ પાર્કના ચોથા માળે આગ,૮૦ લોકોને સલામત નીચે ઉતારાયા

ચોથા માળે લાગેલી આગ છઠ્ઠા માળ સુધી પ્રસરી ગઈ, બિલ્ડિંગના બહારના ભાગમાં લગાવેલા કાચ ધડાધડતૂટીને નીચે પડયા

Updated: May 23rd, 2026

GS TEAM

Google News
Google News
એસ.જી.હાઈવે ઉપર  મકરબા પાસે આવેલા સોલિટેયર બિઝનેસ પાર્કના ચોથા માળે આગ,૮૦ લોકોને સલામત નીચે ઉતારાયા 1 - image

અમદાવાદ,શુક્રવાર,22 મે,2026

અમદાવાદના એસ.જી.હાઈવે ઉપર મકરબા પાસે સોલિટેયર બિઝનેસ પાર્કના ચોથા માળે આવેલી એક ઓફિસમાં શુક્રવારે બપોરે ૨.૫૦ કલાકના સુમારે અગમ્ય કારણસર આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ચોથા માળે લાગેલી આગ ઝડપથી છઠ્ઠા માળ સુધી પ્રસરી ગઈ હતી.લોકો જીવ બચાવવા ઉપરના માળ તરફ દોડી ગયા હતા.બિલ્ડિંગના બહારના ભાગમાં લગાવેલા કાચ ધડાધડ તૂટીને નીચે પડયા હતા.આગ અંગે ફાયર વિભાગને જાણ થતા સ્થળ ઉપર પહોંચી આગ હોલવવાની સાથે ૮૦ જેટલા લોકોને સલામત નીચે ઉતારવામા આવ્યા હતા.એક બેભાન વ્યકિતને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ મોકલી અપાયો હતો.આગ લાગવા પાછળનુ ચોકકસ કારણ ફાયર વિભાગ આપી શકયુ નથી.

શુક્રવારે બપોરે લાગેલી આગની ઘટનામા ફાયર વિભાગને જાણ કરવામા આવી હોવાછતાં સમયસર પહોંચ્યા નહી હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામા આવ્યો હતો.જયારે ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેના કહેવા પ્રમાણે, કોલ મળ્યાની આઠ મિનીટની અંદર ફાયર વિભાગનુ પહેલુ વાહન સ્થળ ઉપર પહોંચી ગયુ હતુ.જે પછી પરિસ્થિતિ વધુ ના વણસે એ માટે એક મિની ફાયર ફાઈટર,વોટર બાઉઝર, બૂમ બાઉઝર, હાઈડ્રોલિક પ્લેટફોર્મ, એમ્બ્યુલન્સ સાથે ૨૪ વાહનોની મદદથી ચીફ ફાયર ઓફિસર સહિતના સોથી પણ વધુ અધિકારી તથા ફાયર વિભાગના જવાનો દ્વારા આગ હોલવવાની કામગીરી શરૃ કરવામા આવી હતી.બિલ્ડિંગની ફાયર સિસ્ટમ વર્કિંગકન્ડીશનમા હતી.જેની મદદથી ફાયર ફાઈટીંગ કરવામા આવ્યુ હતુ.આગની આ ઘટનામા એક બાબત સામે આવી અને તે બિલ્ડિંગના બહારના ભાગમા લગાવેલા ગ્લાસ. આ પ્રકારના ગ્લાસ શહેરના અનેક બિલ્ડિંગમાં લગાવેલા જોવા મળતા હોય છે.જે આગની ઘટના સમયે ઘણાં જોખમી પુરવાર થતા હોવાનુ ફાયર સૂત્રોનુ કહેવુ છે.

જીવરાજ પાર્ક નજીક સહજાનંદ ટાવરના બંધ મકાનમાં આગ

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમીમા આગ લાગવાના બનાવ પણ સતત વધી રહયા છે.શહેરના જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે આવેલા  સહજાનંદ ટાવરના બીજા માળે આવેલા એક બંધ મકાનમાં શુક્રવારે સવારે ૯.૧૫ કલાકે આગ લાગવાની ઘટના બની હતી.આગ લાગવાના કારણે ફલેટમાં રાખવામા આવેલ તમામ ચીજ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી. આગ લાગવા પાછળ પ્રાથમિક કારણ શોટ સરકીટ આપવામા આવ્યુ છે.સદ નસીબે કોઈ ઈજા કે જાનહાની થવા પામી નહતી. મહત્વની બાબત એ છે કે,આ ટાવરમાં ફાયરના વાહન સરળતાથી જઈ શકે એટલી જગ્યા પણ નહતી.ફાયરના સ્ટાફે બંધ ફલેટનો દરવાજો તોડી આગ હોલવી હતી.