Navsari News: ગત વિધાનસભામાં કંગાળ પ્રદર્શન બાદ ગુજરાતમાં કોંગ્રેસ હાલ અસ્તિત્વ માટે લડી રહી છે, અમુક ગણ્યા ગાંઠ્યા નેતાઓ છે જે કોંગ્રેસને ગુજરાતમાં ફરી બેઠી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે તેમાંથી એક કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે કોંગ્રેસ છોડવાની ચીમકી ઉચ્ચારતા કહ્યું છે કે, 'જો આદિવાસી સમાજ સાથે અન્યાય થશે તો પાર્ટી છોડતા કોઈ વાર નહીં લાગે'. આદિવાસી સમાજના મોટા નેતાના આ નિવેદનથી હાલ ગુજરાત રાજકારણમાં ફરી ગરમાવો જોવા મળી રહ્યો છે.
'મને પાર્ટી છોડી દેતા વાર નહીં લાગે'
નવસારીમાં વાંસદામાં આયોજિત આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમમાં સંબોધન દરમિયાન અનંત પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, 'જો કોંગ્રેસ પાર્ટી આદિવાસી સમાજ સાથે અન્યાય કરશે, તો મને પાર્ટી છોડી દેતા વાર નહીં લાગે. હું હંમેશા અન્યાય સામે લડતો આવ્યો છું, ન્યાય માટે આજીવન આદિવાસી સમાજની પડખે ઊભો રહીશ.'
'લાલચ કે સત્તાની ભૂખ નથી'
વધુમાં અનંત પટેલે જણાવ્યું કે, 'હું આદિવાસી સમાજમાં જન્મ્યો છું અને આદિવાસી તરીકે જ મરીશ. અમને કોઈ લોભ, લાલચ કે સત્તાની ભૂખ નથી. અમારું એકમાત્ર લક્ષ્ય સમાજનું કલ્યાણ અને સેવા કરવાનું છે.'
આ પણ વાંચો: કાળમુખો અકસ્માત: મંદિરે દર્શન કરવા નીકળેલા 5 મિત્રોના કરૂણ મોત! કાર-બસની ભયાનક ટક્કર


