Get The App

પોરબંદરમાં 239 વર્ષ પહેલાં પણ કુદરતી ACની ટેકનિક વપરાતી હતી

Updated: May 24th, 2026

GS TEAM

Google News
Google News
પોરબંદરમાં 239  વર્ષ પહેલાં પણ કુદરતી ACની ટેકનિક વપરાતી હતી 1 - image

'ગ્રીષ્મ ભવન' રાજા સરતાનજીનો 'સંગીતચોરો' આજે પણ અડિખમ : સુદામા મંદિર પાછળ આવેલો ચોરો ઉનાળામાં રાહત અને સંગીતસભા માટે બનાવાયો હતોઃ ઘોડા પથ્થરમાં કંડારેલી કલા જેઠવા વંશની જાહોજલાલીની સાક્ષી

 પોરબંદર, : અરબી સમુદ્રના કિનારે વસેલું પોરબંદર જેઠવા રાજવંશના ભવ્ય ઇતિહાસ માટે પણ જાણીતું છે. આ શહેરના સાંસ્કૃતિક વારસાની એક અણમોલ ઈમારત એટલે 'ગ્રીષ્મ ભવન', જેને સ્થાનિક લોકો 'રાણા સરતાનજીનો ચોરો' કે 'સંગીતચોરો' તરીકે પણ ઓળખે છે.

શિલાલેખ મુજબ ઈ.સ. 1785 માં જેઠવા રાજવંશના મહારાજા સરતાનજી દ્વારા આ ભવનનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. 'ગ્રીષ્મ' એટલે ઉનાળો. પોરબંદરના મહારાજાઓ ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહત મેળવવા આ ભવનમાં વિશ્રામ કરતા હતા. સાથે જ આ મંડપ સંગીતસભા માટે પણ બનાવવામાં આવ્યો હતો તેથી તે 'સંગીતચોરો' તરીકે પ્રખ્યાત છે.

આ ભવનની સૌથી મોટી ખાસિયત એ છે કે તે સંપૂર્ણપણે પોરબંદરના જ પ્રખ્યાત સફેદ નરમ પથ્થર એટલે કે 'ઘોડા પથ્થર' માંથી કોતરીને બનાવવામાં આવ્યું છે. બહારની દીવાલો પર સ્વાભાવિક રીતે જ સંગીતકારો કંડારેલા છે અને ખૂણાઓમાં દ્વારપાળની મૂતઓ સ્થાપિત છે. પુષ્પાવલિની કોતરણીથી શોભતી લાકડાની છત અને કેન્દ્રમાં ગોળ કોતરણી ધરાવતો મંચ હતો. અંદરનો હોજ બાષ્પીભવનથી વાતાવરણને સમશીતોષ્ણ રાખવામાં સહાયક બનતો હતો એટલે કે 239 વર્ષ પહેલા પણ કુદરતી એ.સી.ની ટેકનિક વપરાતી હતી. સુદામા મંદિરની પાછળ, મુખ્ય માર્ગ પર આજે પણ આ ઈમારત અડીખમ ઊભી છે અને પોરબંદરની જાહોજલાલીની સાક્ષી પૂરે છે. ભવન પરનું ઝીણું અને કલાત્મક કોતરકામ જોનારનું ધ્યાન તરત ખેંચી લે છે.