Gujarat

નર્મદા: કેવડિયામાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખના પરિવારના નામ મતદાર યાદીમાંથી ગાયબ, 97 નામો કાઢી નખાતા વિવાદ છંછેડાયો

By GS TEAM
21 Feb 20263 mins read
TukuTouch Logo
ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં હાથ ધરવામાં આવેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) પૂર્ણ થઈ છે. ગત 17 ફેબ્રુઆરીના રોજ આખરી મતદાર યાદી સત્તાવાર રીતે પ્રસિદ્ધ કરવામાં આવી છે. તેવામાં નર્મદામાંથી જિલ્લા કોંગ્રેસ પ્રમુખના પરિવારના નામ મતદાર યાદીમાંથી ગાયબ થઈ જતાં વિરોધનો સૂર છેડાયો છે. નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ તડવીના પત્ની (માજી મહિલા મોરચા પ્રમુખ), માતા, કાકાઓ અને અન્ય પરિવારજનોના નામ મતદાર યાદીમાંથી કમી કરાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નર્મદા: કેવડિયામાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખના પરિવારના નામ મતદાર યાદીમાંથી ગાયબ, 97 નામો કાઢી નખાતા વિવાદ છંછેડાયો

Narmada News: ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં હાથ ધરવામાં આવેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) પૂર્ણ થઈ છે. ગત 17 ફેબ્રુઆરીના રોજ આખરી મતદાર યાદી સત્તાવાર રીતે પ્રસિદ્ધ કરવામાં આવી છે. તેવામાં નર્મદામાંથી જિલ્લા કોંગ્રેસ પ્રમુખના પરિવારના નામ મતદાર યાદીમાંથી ગાયબ થઈ જતાં વિરોધનો સૂર છેડાયો છે. નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ તડવીના પત્ની (માજી મહિલા મોરચા પ્રમુખ), માતા, કાકાઓ અને અન્ય પરિવારજનોના નામ મતદાર યાદીમાંથી કમી કરાયા છે.

કામગીરી સામે સવાલો

ફાઈનલ મતદાર યાદી જિલ્લા કોંગ્રેસ પ્રમુખે જોતાં તેમાંથી નામ ગુમ છે, જે બાદ કોંગ્રેસ નેતાએ આરોપ કર્યો છે કે સરકાર જાણી જોઈને કોંગ્રેસ સમર્થકો અને નેતાઓના નામો ટાર્ગેટ કરીને કાઢી રહી છે. આ મામલે કોંગ્રેસ દ્વારા ઉચ્ચ સ્તરે ઉગ્ર રજૂઆતો કરવામાં આવી છે અને વહીવટી તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે.


'કોંગ્રેસને વોટ આપે છે તેમના જ નામ નીકળી ગયા'

નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ તડવીએ સમગ્ર મામલે કહ્યું કે, 'મારા ગામ સાંઢીયામાંથી 97 નામ મતદારયાદીમાંથી નીકળી ગયા છે, 598નું વોટિંગ છે જેમાંથી 97 નામ કમી થઈ ગયા છે. એમાં મારા માતા રમીલાબેન દિનેશભાઇ તડવી, આ ઉપરાંત મારી પત્નીનું નામ પણ નથી, મારા કાકા અને ભત્રીજા અને અન્ય ભાઈઓ મળીને કુલ મારા જ પરિવારમાંથી 25 નામ નીકળી ગયા છે. તો રાહુલ ગાંધી કહે છે તેમ વોટચોરી છે. અમારા ગામ અને મારા પરિવારમાંથી કોંગ્રેસને વોટ આપે છે તેમના નામ નીકળી ગયા છે. તો નાનું મોટું ઈલેક્શન હોય, જિલ્લા કે તાલુકાનું જો આમ  જ દરેક ગામથી 50 વોટ નીકળી જાય તો હજાર જેટલા વોટ સીધા કોંગ્રેસના જ કપાઈ જાય જેનો સીધો જ ભાજપને ફાયદો થાય'

'અધિકારીએ BLO પર ઢોળી દીધું'

'મેં મારુ અને પરિવારના ફોર્મ BLO પાસે ભર્યા છે, તેના પુરાવા પણ છે તેમ છતાં અમારા નામ કાઢી નાખ્યા છે, મારુ ટૂંકમાં કહેવું છે કે કેમ ફક્ત કોંગ્રેસના વોટ જ કાઢી નાખવામાં આવ્યા, અધિકારીને વાત કરી તો એમને BLO પર બધુ ઢોળી દીધુ, BLOનું તો ખાલી નામ છે, સરકાર જ આ બધુ કરે છે. સરકાર તરફથી જ આ લોકો અમારા જેવા કોંગ્રેસીઓના નામ કાઢી નાખે છે. અમે આ બાબતે સોમવાર સુધીમાં આવેદનપત્ર આપીશું, કલેકટરને પણ મળીશું'

અધિકારીએ મૌન સેવ્યું!

ગુજરાત સમાચાર દ્વારા જ્યારે અધિકારીને સમગ્ર બાબતે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેમણે બોલવાનું ટાળ્યું છે. જેથી એ વાત સ્પષ્ટ થાય છે કે ક્યાંકને ક્યાંક નર્મદા જિલ્લામાં SIRની કામગીરીમાં કચાશ રહી છે.

આ પણ વાંચો: કીર્તિ પટેલ અને તેની ટોળકીના ત્રાસથી યુ-ટ્યુબરે ફિનાઈલ ગટગટાવ્યું, જૂનાગઢમાં પાંચ શખસ સામે ફરિયાદ

મહત્વનું વાત એ છે કે ફાઈનલ મતદાર યાદી જાહેર થઈ તેમાં 4,39,379 લાખ મતદારો નોંધાયા છે. તેમજ 5,797 નવા મતદારોના નામ યાદીમાં ઉમેરવામાં આવ્યા છે તો 971 મતદારોના નામ વિવિધ કારણોસર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. જિલ્લામાં કુલ 4,826 મતદારોનો ચોખ્ખો વધારો થયો છે. તેવામાં પ્રશ્ન એ છે કે જિલ્લામાં 971 મતદારોના નામ કમી થયા છે તેમાંથી સાંઢીયા ગામમાંથી 97 નામ મતદારયાદીમાંથી નીકળી ગયા છે, તો શું આ BLOની ભૂલ છે કે પછી કોંગ્રેસ નેતાના દાવા પ્રમાણે જાણી જોઈને કાઢી નાખવામાં આવ્યા છે?