Get The App

મહારાષ્ટ્રથી ગુજરાત ઘૂસાડાતો દારૂનો જથ્થો ઝડપાયો, સાંસદ મનસુખ વસાવાના પ્રહાર બાદ નર્મદા પોલીસ જાગી?

Updated: Jun 5th, 2026

GS TEAM

Google News
Google News
મહારાષ્ટ્રથી ગુજરાત ઘૂસાડાતો દારૂનો જથ્થો ઝડપાયો, સાંસદ મનસુખ વસાવાના પ્રહાર બાદ નર્મદા પોલીસ જાગી? 1 - image

Narmada News: ગુજરાતમાં દારૂબંધીના કડક અમલની વાતો વચ્ચે મહારાષ્ટ્ર સરહદેથી મોટા પાયે વિદેશી દારૂ ઘુસાડવામાં આવતો હોવાના સાંસદ મનસુખ વસાવાના ગંભીર આરોપો બાદ નર્મદા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. નર્મદા LCB પોલીસે સાગબારા બોર્ડર પરથી વિદેશી દારૂથી ભરેલું એક કન્ટેનર ઝડપી પાડીને કુલ રૂપિયા 46.82 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાંસદના પ્રહાર બાદ જાગેલી પોલીસની આ કાર્યવાહીથી બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી નેટવર્કનો પર્દાફાશ કરાયો

મહારાષ્ટ્ર બોર્ડર પરથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવાના આ મોટા નેટવર્કનો પર્દાફાશ કરવા માટે પોલીસે ખાસ વ્યૂહરચના અપનાવી હતી. ડેડીયાપાડા અને સાગબારા આંતરરાજ્ય બોર્ડર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલને એક ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે એલ.સી.બી. પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન મહારાષ્ટ્ર તરફથી આવતી એક શંકાસ્પદ કન્ટેનર ટ્રકને અટકાવીને તપાસ કરવામાં આવતા તેમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક ધોરણે ટ્રક ચાલક અને રાજસ્થાનના બાડમેરના વતની એવા 26 વર્ષીય બુટલેગર અર્જુનરામ ધીમારામ બિશ્નોઇની ધરપકડ કરી છે.

આ પણ વાંચો: 'ગુજરાતમાં દારૂ ઘૂસાડવામાં પોલીસ-રાજકીય નેતાઓની સાંઠગાંઠ છે...', ભાજપના જ સાંસદે સરકારને લખ્યો પત્ર

રૂ. 31.77 લાખનો દારૂ અને ટ્રક સહિતનો 46.82 લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસ દ્વારા કરવામાં આવેલી આ મોટી કાર્યવાહીમાં લાખો રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં રૂપિયા 31,77,465 ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો, રૂપિયા 15,00,000ની કિંમતની એક અશોક લેલેન્ડ ટ્રક અને રૂપિયા 5,000ની કિંમતનો એક મોબાઈલ ફોન સામેલ છે. આમ, પોલીસે કુલ રૂપિયા 46,82,465 નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 'ગાંધીના ગુજરાત' માં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અવનવા કીમિયા અજમાવતા હોય છે, પરંતુ રહી રહીને જાગેલી નર્મદા LCB પોલીસે તેમના ઈરાદાઓ પર પાણી ફેરવી દીધું છે.


સાંસદ મનસુખ વસાવાએ પત્ર લખી પોલીસની સંડોવણીનો કર્યો હતો દાવો

ઉલ્લેનીય છે કે, હાલમાં જ ગત 22 મે 2026ના રોજ સાંસદ મનસુખ વસાવાએ ગૃહમંત્રીને એક સળગતો પત્ર લખ્યો હતો, જેમાં તેમણે દારૂની હેરાફેરીના આખા રૂટ અને મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો હતો. તેમણે પત્રમાં દાવો કર્યો હતો કે મહારાષ્ટ્ર સરહદેથી નર્મદા જિલ્લામાં મોટા પાયે વિદેશી દારૂ ઘુસે છે અને આ રૂટમાં આવતા તમામ પોલીસ સ્ટેશનના પીએસઆઈ (PSI)ની આ કાળા કારોબારમાં સીધી સંડોવણી છે, જેમાં આમલેથા પોલીસ સ્ટેશનની ભૂમિકા સૌથી વધુ શંકાસ્પદ છે. આ દારૂ નર્મદાથી આગળ ઉમલ્લા, રાજપારડી, કરજણ અને શિનોર સુધી બેરોકટોક મોકલવામાં આવતો હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો, જેના પગલે હવે પોલીસતંત્ર દોડતું થયું છે.