Gujarat

ભાવનગરમાં ભાડુઆતના મામલે મનપાએ 15 આવાસને સીલ માર્યા

By GS TEAM
21 Mar 20262 mins read
ભાવનગરમાં ભાડુઆતના મામલે મનપાએ 15 આવાસને સીલ માર્યા

- તરસમિયા અને રૂવા ખાતેની આવાસ યોજનામાં 128 લોકોને નોટિસ આપી હતી 

- નોટિસ આપ્યા બાદ સમય મર્યાદામાં ખુલાસો ન કરતા મનપાએ સીલ મારી દંડ ફટકાર્યો 

ભાવનગર : ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભાડુઆતના મામલે તબક્કાવાર તપાસ હાથ ધરવામાં આવે છે, જેના ભાગરૂપે ગત ફેબ્રુઆરી તરસમિયા અને રૂવા ખાતેની આવાસ યોજનામાં ભાડુઆતની બાબતે નોટિસ આપવામાં આવી હતી. આ નોટિસ આપ્યા બાદ સમય મર્યાદામાં ખુલાસો કરવામાં નહીં આવતા મહાપાલિકાની ટીમે આજે શુક્રવારે વધુ ૧પ આવાસને સીલ માર્યા હતાં. 

ભાવનગર મહાનગરપાલિકાના દ્વારા રપ૪૮ ઇ.ડબલ્યુ.એસ-૧ પ્રધાનમંત્રી આવાસ યોજનાના મહાદેવનગરની સામે, તરસમિયા રોડ ખાતે ફાઈનલ પ્લોટ નંબર-૪૬ ખાતે ગત તા. ૧ર ફેબુ્રઆરીમાં ભાડુઆતના મામલે સાત ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ આવાસ યોજનામાં કુલ રપર આવાસ આવેલા છે, જેમાં ર૭ અન્ય-ભાડુઆત હતા અને ૯ર મુળ લાભાર્થી હતા, જયારે ૬૭ બંધ મકાન જોવા મળ્યા હતાં. બંધ મકાન સહિત મળી કુલ ૯૪ ભાડુઆતને નોટિસ આપવામાં આવી હતી, જેમાં નોટિસ આપ્યા બાદ સમય મર્યાદામાં ખુલાસો નહીં કરતા ૧૩ આવાસને સીલ કરી દંડ ફટકારવામાં આવ્યો હતો. 

શહેરના રૂવામાં રીંગ રોડ પર આવેલ ફાઈનલ પ્લોટ નંબર-૧૦૪ ખાતેની રપ૪૮ ઇ.ડબ્લ્યું. એસ.-૧ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગત તા. ૩ ફેબુ્રઆરીએ ભાડુઆતના મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ આવાસ યોજનામાં કુલ ૧ર૦ આવાસ આવેલા છે, જેમાં ૩૪ ભાડુઆત હતા અને ૪૯ મુળ લાભાર્થી હતા, જયારે ૩૭ બંધ મકાન જોવા મળ્યા હતાં. ૩૪ ભાડુઆતને નોટિસ આપી હતી, જેમાં ર ભાડુઆતી આવાસોના મુળ માલિકોએ સમય મર્યાદામાં ભાડુઆતી આવાસ ખાલી ન કરીને જરૂરી ખુલાસો રજૂ નહીં કરવામાં આવતા સીલ કરી દંડ ફટકારવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં અન્ય આવાસમાં તપાસ કરવામાં આવશે તેમ મહાપાલિકાના અધિકારીએ જણાવેલ છે.