Get The App

મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓની પોલ ખોલી, અમદાવાદમાં વરસાદી પાણીનો નિકાલ થતો નથી તેનું કારણ તમે છો

કરોડો રુપિયાનો ખર્ચ કરી સ્ટ્રોમ વોટર લાઈન નાંખી છે એમાં તમે ગેરકાયદે આપેલા જોડાણ પહેલા દુર કરો

Updated: May 6th, 2026

GS TEAM

Google News
Google News
મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓની પોલ ખોલી, અમદાવાદમાં વરસાદી પાણીનો નિકાલ થતો નથી તેનું કારણ તમે છો 1 - image

અમદાવાદ,બુધવાર,6 મે,2026

અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ કોર્પોરેશનના અધિકારીઓની પોલ ખોલી નાંખી છે. વિવિધ  વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં તેમણે કહ્યુ,શહેરમાં સમયસર વરસાદી પાણીનો નિકાલ થતો નથી તેનુ કારણ તમે પોતે જ છો. શહેરમાં કરોડો રુપિયાનો ખર્ચ કરીને સ્ટ્રોમ વોટર લાઈન નાંખવામા આવી છે. એમા તમે જ ગેરકાયદે  જોડાણ આપેલા છે. તમે સ્ટ્રોમ વોટર લાઈનમા આપેલા ગેરકાયદે જોડાણ પહેલા દુર કરો.એમ કહેતા બેઠકમા હાજર રહેલા અધિકારીઓમાં સોંપો પડી ગયો હતો.

બુધવારે મળતી વિકલી રિવ્યુ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરે સ્વચ્છ સર્વેક્ષણના સંદર્ભમાં કયાં અને કેટલી કામગીરી કરવામા આવી એ અંગે વિગત માંગી હતી. ઉપરાંત આ કામગીરીને પ્રિ-મોન્સૂન અંતર્ગત કરવામા આવતી કામગીરી સાથે જોડી દેવા સુચના આપી હતી.જેથી એક સાથે જ બંને કામગીરી પુરી કરી શકાય.દરમિયાન વોટર રિસોર્સ મેનેજમેન્ટના સીટી ઈજનેર વિજય પટેલને પ્રિ-મોન્સૂન અંતર્ગત અત્યાર સુધીમા શું શું કામગીરી કરવામા આવી તે અંગે પુછયુ હતુ.એ સમયે સીટી ઈજનેરે કેટલીક કામગીરી બાકી છે એમ કહેતા મ્યુનિસિપલ કમિશનર નારાજ થયા હતા.તેમણે કોર્પોરેશનની સ્ટ્રોમ વોટર લાઈનમાં જયાં પણ ગેરકાયદેસર જોડાણ આપવામા આવ્યા છે તેને દુર કરવા ઉપરાંત તેનુ કનેકશન તળાવોના આઉટલેટ સાથે કે નાળા સાથે આપવા કહયુ હતુ જેથી વરસાદી પાણીનો સમયસર નિકાલ કરી શકાય.શહેરમાં દર વર્ષે ચોમાસાની મોસમમા અનેક વિસ્તારોના નિચાણવાળા વિસ્તારોમા ભરાતા વરસાદી પાણી કલાકો સુધી ઉતરતા નથી તેની પોલ કમિશનરે ખોલી હતી.