Get The App

તમામ ફેકલ્ટીઓ ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને ઓનર્સ ડિગ્રી માટે ચોથા વર્ષમાં પ્રવેશ આપશે

Updated: May 22nd, 2026

GS TEAM

Google News
Google News
તમામ ફેકલ્ટીઓ ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને ઓનર્સ ડિગ્રી માટે ચોથા વર્ષમાં પ્રવેશ આપશે 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં વર્તમાન શૈક્ષણિક વર્ષમાં ટીવાયની પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓને ચોથા વર્ષમાં ભણાવીને ઓનર્સ ડિગ્રી આપવી કે નહીં તે માટે ચાલી રહેલી ખેંચતાણનો આખરે અંત આવ્યો છે.

મળતી વિગતો પ્રમાણે તા.૨૧ મે, ગુરુવારે વાઈસ ચાન્સેલરે તમામ ફેકલ્ટી ડીન્સની બેઠક બોલાવી હતી અને તેમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.વાઈસ ચાન્સેલર પ્રો.ભણગેએ  તમામ ફેકલ્ટી ડીન્સને કહ્યું હતું કે, વિદ્યાર્થીઓને અત્યાર સુધી ચાર વર્ષના ઓનર્સ કોર્સના નામે પ્રવેશ અપાયો છે.તેમને અત્યાર સુધી અપાયેલી માર્કશીટમાં પણ ઓનર્સ કોર્સનો ઉલ્લેખ કરાયો છે ત્યારે અત્યાર સુધી જે પણ વિદ્યાર્થીઓ પ્રવેશ લઈ ચૂકયા છે તેમના માટે ઓનર્સ કોર્સ ચાલુ રાખવો નૈતિક જવાબદારી બને છે.આમ ફેકલ્ટીઓએ ઓછામાં ઓછા ૨૦૨૮ સુધી તો ઓનર્સ કોર્સમાં  વિદ્યાર્થીઓને ભણાવવા જોઈએ.એ પછી તમામ નવ ફેકલ્ટી ડીને નવા શૈક્ષણિક વર્ષમાં ઓનર્સ કોર્સ માટે સંમતિ આપી હતી.

આમ ત્રીજા વર્ષના હજારો વિદ્યાર્થીઓને ઓનર્સ કોર્સના ચોથા વર્ષમાં પ્રવેશનો વિકલ્પ મળશે.આ પહેલા ઓનર્સ કોર્સ ચલાવવો કે નહીં તે ફેકલ્ટીઓ પર છોડવામાં આવ્યું હતું.

સાથે સાથે વાઈસ ચાન્સેલરે કહ્યું હતું કે, નવા શૈક્ષણિક વર્ષમાં એફવાયમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીને પણ ઓનર્સ કોર્સ ચાલુ રાખવાની ગેરંટી નથી તેવી  સ્પષ્ટતા દરેક ફેકલ્ટી ડીન કરે તે પણ જરુરી છે.

ઓનર્સના ચોથા વર્ષમાં કોને પ્રવેશ મળશે

--પ્રથમ ૬ સેમેસ્ટરમાં ૭૫ ટકા કે તેના કરતા વધારે માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓ બેચલર ડિગ્રી વિથ ઓનર્સનો વિકલ્પ પસંદ કરી શકશે.

--ત્રીજા વર્ષમાં પાસ થયેલા બાકીના વિદ્યાર્થીઓ બેચલર ડિગ્રી વિથ ઓનર્સમાં પ્રવેશ લઈ શકશે

--ચોથા વર્ષમાં માત્ર એમ.એસ.યુનિ.માંથી પાસ થયેલા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે.

--જેમનો બેકલોગ, એટીકેટી હશે કે પરિણામ પેન્ડિંગ હશે તેમને પ્રવેશ નહીં મળે.ચોથા વર્ષના અંતે ૧૭૬ ક્રેડિટ ધરાવતા વિદ્યાર્થીઓ ઓનર્સની ડિગ્રી મેળવી શકશે.

--કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોવાથી તે ઓછી બેઠકો સાથે ચોથા વર્ષમાં પ્રવેશ આપી શકશે

૧ જૂનથી ચોથા વર્ષની પ્રવેશ પ્રક્રિયા શરુ થશે

ઓનર્સના ચોથા વર્ષમાં પ્રવેશ માટેની અરજી પ્રક્રિયા તા.૧ જૂનથી ૧૦ જૂન સુધી ચાલશે.એ પછી ફેકલ્ટી દ્વારા પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટ જાહેર કરાશે.૧૧ થી ૧૫ જૂન સુધી ફી ભરવાની પ્રક્રિયા હાથ ધરાશે.જરુર પડે તો તા.૧૬ થી ૨૦ જૂન દરમિયાન પ્રવેશ પ્રક્રિયાનો બીજો રાઉન્ડ હાથ ધરાશે.એ પછી પણ બેઠકો ખાલી રહેશે તો તા.૨૦ થી ૨૫ જૂન દરમિયાન વેઈટિંગ લિસ્ટમાંથી બીજા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે.