Get The App

કોડીનારના આદપોકર ગામે કુંડમાં ડુબી જતા માતા- 2 પુત્રીઓના મોત

Updated: Feb 18th, 2026

GS TEAM

Google News
Google News
કોડીનારના આદપોકર ગામે કુંડમાં ડુબી જતા માતા-  2 પુત્રીઓના મોત 1 - image

શિવ મંદિર પાસે આવેલા કુંડ ખાતે દુર્ઘટનામાં 6 વર્ષીય બાળકીનો પગ લપસતા કુંડના પાણીમાં પડી જતા તેને બચાવવા 10 વર્ષીય બહેન તથા માતા કુંડમાં કુદતા 3ના મોત

કોડીનાર, : કોડીનાર તાલુકાના આદપોકર ગામે આજે એક હૃદયદ્રાવક ઘટના બની હતી. જેમાં પ્રસિધ્દ આદિનાથ મહાદેવ મંદિર પાસે આવેલા કુંડમાં ડૂબી જવાથી માતા તથા બે પુત્રીઓના મોત નીપજ્યા છે. આ બનાવથી પંથકમાં ભારે શોક વ્યાપી ગયો છે.

કોડીનારના આદપોકર ગામે આદિનાથ મહાદેવ મંદિર પાસેના કુંડ નજીક 10 વર્ષીય રેતિકા અને તેની 6 વર્ષીય બહેન એંજલ રમતા હતા. તે દરમિયાન નાની બાળકી એંજલનો પગ અચાનક લપસી જતાં તે કુંડના ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગી હતી. બહેનને ડૂબતી જોઈ તેને બચાવવા ગયેલી મોટી બહેન રિતિકા પણ પાણીમાં કૂદી હતી. બંને દીકરીઓને ડૂબતી જોઈ માતા ઈલાબેન પણ તેમને બચાવવા કુંડમાં કૂદી પડયા હતાં. પરંતુ પાણીની ઊંડાઈ વધુ હોવાને કારણે ત્રણેય સભ્યોકુંડમાં ગરકાવ થઈ ગયા હતાં.

ઘટનાની જાણ થતા જ આસપાસનાં લોકો અને સ્થાનિક તરવૈયાઓ મદદે દોડી આવ્યા હતાં. કોડીનાર નગરપાલિકાની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. સ્થાનિક તરવૈયાઓએ ભારે જહેમત બાદ બંને બાળકીઓના મૃતદેહ બહાર કાઢ્યા હતાં. જયારે માતા ઈલાબેનને ગંભીર હાલતમાં કોડીનારની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ ટૂંકી સારવાર બાદ તેમનું પણ નિધન થયું હતું. આમ ઈલાબેન રમેશભાઈ વંશ ઉંમ. 40 વર્ષ પુત્રીઓ રિતિકા ઉ.વ. 10 અને એંજલ ઉ.વ. 6 નું કરુણ મૃત્યુ થતા ગમગીની વ્યાપી છે. ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે કોડીનાર સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. આ કરુણાંતિકાના સમાચાર મળતા જ અગ્રણીઓ અને યુવાનો મોટી સંખ્યામાં કોડીનાર સરકારી હોસ્પિટલ ખાતે એકઠા થયા હતાં. જો કે આ સમગ્ર મામલે કોડીનાર પોલીસે અકસ્માતે કોઈ પણ રીતે પાણીમાં ડૂબી જવાથી મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.