Gujarat

છ મહિનાથી અનાજ લીધું ન હોય તેવા બે લાખથી વધુ રેશનકાર્ડ બ્લોક કરાયાં

By GS Team
24 Jul 20212 mins read
This article was originally published on 24 Jul 2021
છ મહિનાથી અનાજ લીધું ન હોય તેવા બે લાખથી વધુ રેશનકાર્ડ બ્લોક કરાયાં

31મી ઓગસ્ટ સુધી ઇ-વેરિફિકેશન ફરજિયાત, નહીંતર રેશનકાર્ડને નોન NFSC કેટેગરીમાં તબદીલ કરાશે

અમદાવાદ : રાષ્ટ્ર્ીય અન્ન સલામતી કાયદા હેઠળ ગરીબોને મફત અનાજ આપવામાં આવે છે. જોકે, હવે છ મહિનાથી વધુ સમયથી અનાજ લીધુ ન હોય તેવા રેશનકાર્ડ બ્લોક કરી દેવાયા છે. રાજ્યના અન્ન નાગરિક પુરવઠા વિભાગે આવા રેશનકાર્ડ સાયલન્ટ કેટેગરીમાં મૂકી દીધા છે.

આ રેશનકાર્ડ ધારકોએ  ઇ- વેરિફિકેશન કરાવવુ પડશે નહિતર નોનએનએફએસસી કેટેગરીમાં તબદીલ કરી દેવા નક્કી કર્યુ છે. આખાય ગુજરાતમાં બે લાખથી વધુ રેશનકાર્ડને બ્લોક કરી દેવાયા છે.

કોરોનાકાળમાં લોકડાઉનથી ગરીબોને મફત અનાજ વિતરણ કરવામાં આવી રહ્યુ છે.ચણાની દાળ, ઘઉં , ચોખા સહિત અનાજ વ્યાજબી ભાવની દુકાનોથી વિતરણ કરાય છે. મફત અનાજને લઇને ય સરકાર એવા ગુણગાન ગાઇ રહી છેકે, લાખો લોકોને મફત અનાજ આપવામાં આવ્યુ છે.

હવે રાજ્યના અન્ન નાગરિક પુરવઠા વિભાગે એવા રેશનકાર્ડ ધારકોને શોધી કાઢ્યા છે જે છેલ્લા છ મહિનાથી મફત અનાજ લેવા ય આવતા નથી. હવે સવાલ એ ઉઠયો છેકે, ગરીબો મફત અનાજ લેવા ય કેમ રાજી નથી. બે લાખથી વધુ રેશનકાર્ડ ધારકો અનાજ લેવા આવતા નથી તેના પાછળનું કારણ શું હશે તે પણ એક શંકા છે. 

આ તરફ, રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ મફતમાં અનાજ મેળવનારા રેશનકાર્ડ ધારકોની સંખ્યા 70 લાખથી વધુ પરિબળો છે. ગુજરાતમાં બે લાખથી વધુ રેશનકાર્ડ ધારકો એવા છેકે, જે વ્યાજબી ભાવની દુકાનોમાંથી આ યોજના હેઠળ છેલ્લા છ મહિનાથી અનાજ લેતા નથી.

રાજ્યના અન્ન નાગરિક પુરવઠા વિભાગે તમામ કલેક્ટર અને જિલ્લા પુરવઠા અિધકારીઓને આવા રેશનકાર્ડ ધારકોને 31મી ઓગષ્ટ સુધીમાં કાર્ડનું વેરિફિકેશન કરાવવા સૂચના આપી છે. જો ઇ- વેરિફિકેશન નહી કરાય તો રેશનકાર્ડને નોન એનએફએસસીની કેટેગીરીમાં મૂકી દેવાશે. અત્યારે તો રાજ્યમાં છ મહિનાથી વધુ સમયથી અનાજ નહી લેનારા કાર્ડધારકોના રેશનકાર્ડને ડિસેબલની યાદીમાં મૂકી દેવાયા છે. 

સરકારે મફત અનાજના ખોટા આંકડા આપી ગુજરાતીઓની ખુદ્દારીનું અપમાન કર્યું : કોંગ્રેસ

રેશનકાર્ડ હોવા છતાંય 3 લાખ ગુજરાતી પરિવારોએ મફત અનાજ નહી લઇને પોતાની ખુદ્દારી વ્યક્ત કરી છે. કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો છેકે, ભાજપ સરકારે એવો દાવો કર્યો હતોકે,મે-જૂન 2021 માં 71 લાખ પરિવારોએ મફતમાં અનાજ મેળવ્યુ હતું.