Gujarat

વડાપ્રધાનની સુરક્ષા માટે 5350 થી વધુ અધિકારીઓ-પોલીસ જવાનો

By GS Team
15 Dec 20232 mins read
This article was originally published on 15 Dec 2023
વડાપ્રધાનની સુરક્ષા માટે 5350 થી વધુ અધિકારીઓ-પોલીસ જવાનો

- ડ્રિમ સિટી નજીકનો વિસ્તાર નો-ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરાયો

- એરપોર્ટ જતા મુસાફરો અને જીવનજરુરીયાતના વાહનોને અગવડતા નહીં પડે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા સંકલન કરાશે

સુરત, : સુરતમાં ડાયમંડ બુર્સ અને એરપોર્ટના નવા ટર્મિનલના લોકાર્પણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી રવિવારે સુરત આવી રહ્યા છે ત્યારે તેમની સુરક્ષા વ્યવસ્થામાં 5350 થી વધુ અધિકારીઓ-પોલીસ જવાનો તૈનાત રહેશે.ઉપરાંત, સમગ્ર કાર્યક્રમ વિસ્તાર નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરાયો છે.

સુરતના ખજોદ સ્થિત ડાયમંડ બુર્સ અને એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડીંગનું લોકાર્પણ આગામી રવિવાર 17 મી ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે.વડાપ્રધાનની સુરત મુલાકાતને પગલે સુરત શહેર પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.તેમની સુરક્ષા વ્યવસ્થામાં શહેર પોલીસના ટોચના અધિકારીઓ ઉપરાંત 3000 પોલીસ જવાનો, 1800 હોમગાર્ડના જવાનો, 550 ટીઆરબીના જવાનો મળી કુલ 5350 થી વધુ અધિકારીઓ-પોલીસ જવાનો તૈનાત રહેશે.વડાપ્રધાનના બંદોબસ્તના ભાગરૂપે સમગ્ર કાર્યક્રમ વિસ્તાર નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરાયો છે.એક કાર્યક્રમ સુરત એરપોર્ટ ખાતે જ હોય સુરક્ષા વ્યવસ્થાને લીધે એરપોર્ટ જતા મુસાફરોને અગવડતા નહીં પડે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા સંકલન સાધવામાં આવશે.ઉપરાંત, જીવનજરુરીયાતના વાહનોને અગવડતા નહીં પડે તે માટે પણ ટ્રાફિક પોલીસ સંકલન કરાશે.


સુરત શહેર પોલીસ દ્વારા બે રૂટ ડાયવર્ઝન પણ જાહેર કરવામાં આવ્યા છે.પ્રધાનમંત્રીના સુરત આગમનને લઈ શહેર પોલીસ દ્વારા કોમ્બિંગ નાઈટ કરી અસામાજીક તત્વો ઉપર સતત ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.