Gujarat

મોડાસાઃ ચાણક્ય વિદ્યાલયમાં 50 જેટલા વિદ્યાર્થીઓને સોટી વડે માર મારવામાં આવતા વાલીઓમાં રોષ

By GS Team
4 Feb 20222 mins read
This article was originally published on 4 Feb 2022
મોડાસાઃ ચાણક્ય વિદ્યાલયમાં 50 જેટલા વિદ્યાર્થીઓને સોટી વડે માર મારવામાં આવતા વાલીઓમાં રોષ

અરવલ્લી, તા. 04 ફેબ્રુઆરી, 2022, શુક્રવાર

મોડાસા ખાતે આવેલી ચાણક્ય શાળામાં એકસાથે 50 જેટલા વિદ્યાર્થીઓને તાલિબાની સજા આપવાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થીઓ દ્વારા તેમને ઢોર માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ કરવામાં આવી છે અને કેટલાક વિદ્યાર્થીઓના શરીરે સોટીના સોળ ઉપસી આવેલા પણ જોઈ શકાય છે. 

મોડાસા ખાતે આવેલી આ ખાનગી શાળામાં શિક્ષણના તમામ નિયમો નેવે મુકવામાં આવ્યા છે અને લાખો રૂપિયાની ફી વસૂલ્યા બાદ પણ યોગ્ય શિક્ષણ આપવાના બદલે આ પ્રકારે અશોભનીય વર્તન કરવામાં આવ્યું છે. ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે નોટ જેવી સામાન્ય બાબતને લઈને શિક્ષકે 50 જેટલા વિદ્યાર્થીઓને સોટી વડે ઢોર માર માર્યો હતો. 

આ સાથે જ શિક્ષકે વિદ્યાર્થીઓને ડરાવવા એમ પણ કહ્યું હતું કે, તમારો વીમો ઉતરાવી લેજો, હું કલેક્ટરથી પણ નથી ડરતો. આ તરફ ભોગ બનનારા વિદ્યાર્થીઓના વાલીઓએ અગાઉ પણ તેમના સંતાનોને આ પ્રકારે સજા આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું. 

એક વાલીએ કરેલા આક્ષેપ પ્રમાણે તેમના દીકરાનું માથું જાળી સાથે અફડાવ્યું હતું જેથી સિટી સ્કેન કરાવવું પડ્યું હતું. 

અરવલ્લી જિલ્લા શિક્ષણાધિકારી ગાયત્રીબેન પટેલના કહેવા પ્રમાણે આ ઘટના મામલે શાળાના સંચાલકો અને શિક્ષકની સામે તપાસ કરવામાં આવશે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.