MGNREGA Yojana: ગુજરાતમાં મનરેગા યોજનમાં થયેલાં ભ્રષ્ટાચારને લીધે સરકારને ભારે બદનામી વ્હોરવી પડી છે. જોકે, સરકારે મનરેગામાં 120 દિવસ રોજી આપવાનું વચન આપ્યું હતું, પરંતુ તે વાયદો ખોટો ઠર્યો હતો. છેલ્લાં પાંચ વર્ષમાં જ મનરેગા યોજનામાં 9.58 લાખ મજૂરોની સંખ્યા ઘટી ગઇ હતી. આપરથી ગરીબ મજૂરોને રોજી આપવાનો મૂળહેતુ સિદ્ધ થઈ શક્યો ન હતો.
2020-21માં 19.32 મજૂરો નોંધાયા હતા
રાજ્યમાં દાહોદ, મહીસાગર, પંચમહાલમાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાનું બહાર આવ્યું છે. સરકારના મળતિયાઓએ મનરેગા યોજનાને કમાણીની યોજના બનાવી દીધી છે. તેમાં મનરેગા યોજનામાં મટિરિયલ્સ કરતાં વેતન પાછળ ખર્ચ કરવાનો હતો તેના બદલે મળતિયાઓને ફાયદો કરવા મટિરિયલ્સ પાછળ ઘૂમ ખર્ચ કરાયો છે.
કેન્દ્રએ મનરેગા માટે ગુજરાતને વર્ષ 2024-25માં 1101 કરોડ રૂપિયા, જ્યારે વર્ષ 2025-26માં 914 કરોડ રૂપિયા ફાળવ્યા હતાં. ગુજરાતમાં મનરેગામાં વેતન પાછળ 36.03 કરોડ રૂપિયા, જ્યારે મટીરિયલ્સ પાછળ 29.47 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો હતો. મનરેગા યોજનામાં સરકારે વચન આપ્યુ હતુંકે, પ્રત્યેક મજૂરને 120 દિવસ રોજગારી અપાશે. પરંતુ એવું થઈ શક્યુ નહીં. ગુજરાતમાં વર્ષ 2020-21માં મનરેગા થકી 19.32 લાખ મજૂરોને રોજી મેળવી હતી. વર્ષ 2021-22માં મજૂરોની સંખ્યા ઘટીને 18.44 લાખ થઈ ગઈ હતી. આ સિલસીલો યથાવત્ રહ્યો હતો. વર્ષ 2025-26માં મનરેગામાં રોજગારી મેળવનારાં મજૂરોની સંખ્યા માત્ર 9.74 લાખ રહી હતી.
ઉલ્લેખનીય છેકે, હવે મનરેગા યોજનાનું નામ બદલીને આખીય યોજનાનો નવો ઓપ અપાયો છે જેનો કોંગ્રેસ દેશભરમાં વિરોધ શરૂ કર્યો છે. કેન્દ્રએ દાવો કર્યો છેકે, મજૂરોને વઘુ દિવસ સુધી રોજગારી મળી રહેશે.


