આગામી દિવસોમાં કોટંબી ખાતે ડબલ્યુ.પી.એલ.(વિમેન્સ પ્રીમિયર લીગ)ની ફાઈનલ સહિતની બે મહત્વની મેચો યોજાનાર છે. બી.સી.એ. (ભરોડા ક્રિકેટ એસોસિએશન )ના સભ્યોને દર વખતે ફૂડ કૂપન સાથે ટિકિટ આપવામાં આવે છે, પરંતુ આજે હિન્દુ વિજય જીમખાના ખાતે આવેલા વિતરણ સેન્ટર પર ફૂડ કૂપન વગરની ટિકિટો અપાતાં વિવાદ થયો હતો.
બીસીએના સૂત્રોના જણાવ્યા મુજબ, બીસીએના સભ્યોમાં સિનીયર સિટીઝનોની સંખ્યા વધુ છે. તેમ છતાં આ વખતે વિતરણ સેન્ટરની જગ્યા મોતીબાગ મેદાનથી બદલી હિન્દુ વિજય જીમખાના ખાતે રાખવામાં આવી હતી. સોમવારે બપોરે ટિકિટ વિતરણ દરમિયાન અચાનક ફૂડ કૂપન ખૂટી જતાં સભ્યોએ નારાજગી દર્શાવી હતી.
પરિસ્થિતિ તંગ બનતાં બીસીએના સતાધીશોમાં દોડધામ મચી હતી. અંતે ૪૫ મિનિટબાદ ૪૩ સભ્યોને ફૂડ કૂપનો પહોંચાડવામાં આવી હતી. આ દરમિયાન કેટલાક સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે, રવિવારે સયાજી વિહાર ક્લબમાં યોજાયેલા સંમેલનમાં ગયેલા કેટલાક સભ્યોને ટાર્ગેટ કરીને પરેશાન કરવાનો પ્રયાસ કરાયો હતો.
એક સભ્યએ રોષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, અમે મેમ્બર છીએ, છતાં અમારી સાથે આવો વ્યવહાર થાય છે. વોટના રાજકારણમાં તમે પડ્યા છો, અમારે તો ક્રિકેટ મહત્વનું છે. બીસીએના સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલ મોટાભાગના સતાધીશો ચૂંટણીની તૈયારી અને ડબલ્યું.પી.એલ. આયોજનમાં વ્યસ્ત હોવાથી દોઢ ડઝન જેટલા ટ્રેઈનીઓને વિતરણની જવાબદારી સોંપવામાં આવી હતી, જેના કારણે અવ્યવસ્થા થઈ હશે.


