Get The App

ધ્રૂજારીદેનારી ઘટના: મહેસાણાના ઇન્દ્રાડ ગામની સીમમાં લૂંટના ઈરાદે મહિલાની હત્યા, કાન ચીરીને દાગીના કાઢ્યા, મૃતદેહને ખેતરમાં જ દાટી દીધો

Updated: Mar 24th, 2026

GS TEAM

Google News
Google News
ધ્રૂજારીદેનારી ઘટના: મહેસાણાના ઇન્દ્રાડ ગામની સીમમાં લૂંટના ઈરાદે મહિલાની હત્યા, કાન ચીરીને દાગીના કાઢ્યા, મૃતદેહને ખેતરમાં જ દાટી દીધો 1 - image

Mehsana News: મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા થયા છે. નંદાસણ પોલીસ મથકની હદમાં ટૂંકા ગાળામાં જ મહિલાઓની હત્યાની બીજી ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભય અને રોષનો માહોલ છે. ઇન્દ્રાડ ગામની સીમમાં લૂંટના ઈરાદે 54 વર્ષીય મહિલાની કરપીણ હત્યા કરી, પુરાવાનો નાશ કરવા હત્યારાઓએ મહિલાની લાશને ખેતરમાં જ દાટી દીધી હતી. પરંતુ સીસીટીવી ફૂટેજ અને પોચી જમીનના કારણે આ હિચકારા ગુનાનો પર્દાફાશ થયો છે.

ઘાસચારો લેવા ગયા અને હત્યા થઈ!

ઘટનાની મળતી વિગતો મુજબ ઇન્દ્રાડના હોડકા વિસ્તારમાં રહેતા શારદાબેન ઠાકોર ગત 20 માર્ચના રોજ બપોરે ખેતરમાં ઘાસચારો લેવા ગયા હતા. સાંજ સુધી તેઓ ઘરે પરત ન ફરતા પરિવારે ચિંતાતુર બની શોધખોળ કરી હતી, પરંતુ કોઈ પત્તો ન મળતા આખરે 21 માર્ચે નંદાસણ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની જાણ કરી હતી. પોલીસે આ મામલે ગંભીરતા દાખવી તપાસ શરૂ કરી, જેમાં આસપાસની ફેક્ટરીઓના સીસીટીવી ફૂટેજ મહત્વના સાબિત થયા હતા. ફૂટેજમાં શારદાબેન ખેતર તરફ જતા અને તેમની પાછળ એક શંકાસ્પદ શખ્સ જતો નજરે પડ્યો હતો.

ખોદાયેલી પોચી માટીથી શંકા ઊપજી

પોલીસની તપાસ દરમિયાન 23 માર્ચના રોજ સવિતા અમૃત ફાર્મમાં લીંબુડીના વાવેતર પાસે નવી ખોદાયેલી પોચી માટી નજરે પડી હતી. શંકા પ્રબળ બનતા પોલીસે પંચોની હાજરીમાં અને વીડિયોગ્રાફી સાથે ત્યાં ખોદકામ કરાવ્યું, તો અંદાજે એક ફૂટની ઊંડાઈએથી શારદાબેનની કોહવાયેલી લાશ મળી આવી હતી. આ દ્રશ્ય જોઈને પોલીસ અને પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. હત્યારાઓએ અત્યંત ક્રૂરતાપૂર્વક મહિલાની હત્યા કરી પુરાવા નાશ કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.

4.40 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીનાની લૂંટ 

આ હત્યા પાછળનો મુખ્ય હેતુ લૂંટ હોવાનું બહાર આવ્યું છે. હત્યારાઓએ મહિલાના શરીરે પહેરેલા અંદાજે રૂ. 4.40 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીનાની લૂંટ કરી હતી. લૂંટારાઓની ક્રૂરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે કાનની બુટ્ટીઓ ખેંચી લેતી વખતે મહિલાના કાન પણ ચીરાઈ ગયા હતા. લૂંટાયેલા મુદ્દામાલમાં 2 લાખની સોનાની બંગડીઓ, 1.40 લાખની સોનાની બુટ્ટી-વાળી અને 1 લાખની કિંમતના ચાંદીના કડલાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: BIG NEWS: યુનિફોર્મ સિવિલ કોડ બિલ ગુજરાત વિધાનસભામાં પસાર, UCC લાવનાર ઉત્તરાખંડ બાદ બીજું રાજ્ય

નંદાસણ પોલીસે આ મામલે લૂંટ વિથ મર્ડરનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ મોકલ્યો છે. આરોપીઓને પકડવા માટે LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) અને સ્થાનિક પોલીસની અલગ-અલગ ટીમો મેદાને ઉતરી છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ આ વિસ્તારમાં અન્ય એક મહિલાની પ્રેમસંબંધના મામલે હત્યા થઈ હતી, ત્યારે હવે આ બીજી ઘટનાએ સ્થાનિક સ્તરે સુરક્ષા વ્યવસ્થા પર મોટા સવાલો ઊભા કર્યા છે.