Get The App

કેનેડામાં થયેલી 2.72 કરોડ રૂપિયાની છેતરપિંડી કેસમાં દંપતી ધરપકડ, બેંક લોકરમાંથી 7.51 કરોડનો સામાન જપ્ત

Updated: Jun 13th, 2026

GS TEAM

Google News
Google News
કેનેડામાં થયેલી 2.72 કરોડ રૂપિયાની છેતરપિંડી કેસમાં દંપતી ધરપકડ, બેંક લોકરમાંથી 7.51 કરોડનો સામાન જપ્ત 1 - image

Mehsana Multicrore Fraud Case: મહેસાણા જિલ્લાના પામોલ ગામના એક યુવક સાથે કેનેડામાં થયેલી 2.72 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં પકડાયેલા અનિલ વિભાણી અને તેની પત્ની વિમ્મી વિભાણીના રિમાન્ડ દરમિયાન આર્થિક ગુના નિવારણ શાખા (EOW)એ મોટી સફળતા મેળવી છે. પોલીસે આરોપીઓના વિવિધ બેંક લોકરમાંથી 7.51 કરોડની કિંમતનું સોનું-ચાંદી, લક્ઝરી કાર, મકાનના દસ્તાવેજો અને વીમા પોલિસીઓનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. આરોપી દંપતી વિરૂદ્ધ અન્ય ગુના નોંધવા માટે પણ પોલીસે તજવીજ હાથ ધરી છે.

મહેસાણા જિલ્લાના પામોલ ગામના રહેવાસી હિરેન ચૌધરી નામના યુવક સાથે કેનેડામાં કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ હતી. આ દરમિયાન થલતેજમાં આવેલા વેરાન્ટિસ એપાર્ટમેન્ટમાં રહેતા અનિલ વિભાણી અને તેની પત્ની વિમ્મીએ હિરેનભાઈને વિશ્વાસમાં લીધા હતા. તેમણે કેનેડાના વિવિધ સરકારી વિભાગોમાં પોતાની ઓળખ હોવાનો દાવો કર્યો હતો અને છેતરપિંડીના નાણાં પરત અપાવવાનું બહાનું કાઢીને હિરેનભાઈ સાથે 2.72 કરોડની વધુ એક છેતરપિંડી આચરી હતી. આ અંગે આર્થિક ગુના નિવારણ શાખાએ ગુનો નોંધી અનિલ અને તેની પત્નીની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓના પહેલા પાંચ દિવસ અને ત્યારબાદ નવ દિવસના રિમાન્ડ મેળવીને ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી.

આ અંગે માહિતી આપતા આર્થિક ગુના નિવારણ શાખાના SPએ જણાવ્યું કે, તપાસના પ્રથમ તબક્કામાં અનિલ વિભાણીના ઘરેથી પાંચ લક્ઝરી કાર અને ત્રણ મોંઘા મોબાઈલ ફોન જપ્ત કરાયા હતા. ત્યારબાદ થલતેજમાં આવેલી યસ બેંકના લોકરમાંથી સાડા સાત કિલો સોનું, 900 ગ્રામ ચાંદી અને કિંમતી ઘડિયાળો સહિત કુલ 6.31 કરોડનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ ઉપરાંત મકાનના દસ્તાવેજ અને 11 જેટલી વીમા પોલિસીઓ પણ મળી આવી હતી.

જ્યારે સુરતમાં આવેલી 'ધ મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેંક'માંથી 30 લાખના સોના-ચાંદીના દાગીના મળ્યા હતા. તેમજ ધ્રાંગધ્રામાં આવેલી 'ધ ધ્રાંગધ્રા પીપલ્સ કો-ઓપરેટિવ બેંક'ના બે લોકરની તપાસ દરમિયાન સોના-ચાંદી સહિત કુલ 1.02 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. પોલીસ હાલમાં આરોપીઓના અન્ય બેંક ખાતાઓ અને લોકર્સની પણ તપાસ કરી રહી છે. આરોપીઓ વિરૂદ્ધ સુરત અને અમદાવાદમાં અગાઉથી જ 10 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. આ સિવાય, તેમની છેતરપિંડીનો ભોગ બનેલા અન્ય લોકોની અરજીઓના આધારે વધુ ગુના નોંધવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.