Gujarat

વિદ્યાર્થીઓને રાહત : બોર્ડ પરીક્ષા સમયે ગરમી ૪૦થી ઓછી રહેશે

By GS Team
17 Mar 20221 min read
This article was originally published on 17 Mar 2022
વિદ્યાર્થીઓને રાહત : બોર્ડ પરીક્ષા સમયે ગરમી ૪૦થી ઓછી રહેશે

અમદાવાદ,ગુરુવાર

બોર્ડના ૧૫ લાખથી વધુ પરીક્ષાર્થીઓ માટે રાહત આપતી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ૨૮ માર્ચથી ૧૨ એપ્રિલ દરમિયાન ધોરણ-૧૦, ધોરણ-૧૨ની બોર્ડ પરીક્ષા છે ત્યારે ગરમીનો પારો ૪૦ ડિગ્રીથી નીચે રહી શકે છે. આમ, હાલની સરખામણીએ ગરમીમાં આંશિક રાહત રહેશે.

સામાન્ય રીતે માર્ચના પ્રથમ-બીજા સપ્તાહ સુધીમાં બોર્ડની પરીક્ષા લેવામાં આવતી હોય છે. આ વખતે બોર્ડની પરીક્ષા સામાન્ય કરતાં મોડી હોવાથી વધુ કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે તેવી પરીક્ષાર્થીઓ અને તેમના વાલીઓને ચિંતા સતાવી રહી હતી. હવામાન અંગે આગાહી  કરતી ખાનગી સંસ્થાના મતે ૨૮ થી ૩૦ માર્ચ દરમિયાન ગરમીનો પારો ૪૦ની આસપાસ રહી શકે છે. જોકે, ત્યારબાદ ૧૦ એપ્રિલ સુધી તાપમાન ૪૦થી નીચું રહેવાની આગાહી છે. આમ, હાલની સ્થિતિ જોતાં બોર્ડની મોટાભાગની પરીક્ષા વખતે ગરમીમાં આંશિક ઘટાડો રહેશે.

અલબત્ત, આગામી ૩ દિવસ યલો એલર્ટ યથાવત્ રહેશે. હવામાન વિભાગના મતે આવતીકાલે કચ્છ-રાજકોટમાં ઓરેન્જ જ્યારે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ખેડા, આણંદ, વડોદરા, અમરેલી, પોરબંદર, જૂનાહઢ, ગીર સોમાનાથ, સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ રહેશે. શનિવારે કચ્છ, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ખેડા, આણંદ, વડોદરા, અમરેલી, પોરબંદર, જૂનાહઢ, ગીર સોમાનાથ, સુરેન્દ્રનગરમાં કાળઝાળ ગરમીની સંભાવના છે. દરમિયાન આજે કંડલા એરપોર્ટમાં ૪૨ ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઇ હતી.