Gujarat

મૌલાના ઐયુબે અમદાવાદમાં સ્થાનિક યુવાનોમાં જેહાદનું ઝેર ઘોળ્યું હતું

By GS Team
5 Feb 20222 mins read
This article was originally published on 5 Feb 2022
મૌલાના ઐયુબે અમદાવાદમાં સ્થાનિક યુવાનોમાં જેહાદનું ઝેર ઘોળ્યું હતું

કિશન ભરવાડ હત્યા કેસનો મામલો

શાહઆલમ, દાણીલીમડા, ગોમતીપુર, વટવામાં રહેતા યુવાનો શબ્બીરની માફક સંપર્કમાં હોવાનો પૂછપરછમાં ખુલાસો

અમદાવાદ : કિશન ભરવાડની હત્યામાં જમાલપુરના મૌલાના ઐયુબની સૌથી સક્રિય ભુમિકામાં સામે આવી રહી છે.  મૌલાના ઐયુબે શબ્બીરને કિશન ભરવાડની હત્યા કરવા માટે ઉશ્કેરણી કરી હતી અને હથિયાર આપ્યું હતું.

એટલું જ નહી તેણે કાયદાકીય મદદ કરવા માટે મૌલાના કમરગની વતી ખાતરી આપી હતી. ત્યારબાદ શબ્બીરે કિશનની હત્યા કરી હતી.  જેથી એટીએસ એક વિશેષ ટીમ દ્વારા મૌલાના ઐયુબની પુછપરછ કરવામાં આવી રહી છે.

જેમાં ચોંકાવનારી વિગતો મળી છે કે મૌલાના ઐયુબે શબ્બીર જેવા અનેક કટ્ટરવાદી યુવકોને ભરમાવી રાખ્યા હતા. જેમાં અમદાવાદના શાહઆલમ, દાણીલીમડા, વટવા, મીરઝાપુર, દરિયાપુર જેવા વિસ્તારોમાં રહેતા કેટલાંક યુવકોના નામોની યાદી મળી છે. જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.

કિશન ભરવાડની હત્યા કેસમાં તપાસ કરી રહેલી એટીએસ દ્વારા કરવામાં આવેલી પુછપરછમાં શબ્બીરે કબુલ્ચુ હતુ કે તે મૌલાના ઐયુબના સીધા સંપર્કમાં હતો અને મૌલાના ઐયુબ તેને જ્યારે મળતા ત્યારે જેહાદ અને ઇસ્લામ વિરૂધ્ધ બોલનારાઓને સજા આપવાની વાત કરતા હતા. 

તે વોટ્સએપથી અનેક ઉશ્કેરણીજનક વિડીયો પણ મોકલતા હતા.  જ્યારે શબ્બીરે કિશન ભરવાડે સોશિયલ મિડીયામાં કરેલી વાંધાજનક પોસ્ટની વાત મૌલાનાને કરી હતી.ત્યારે મૌલાનાએ કહ્યું હતું હિંદુસ્તાનનો કાયદો કિશનને છોડી દેશે પણ તેને સજા કરવી તે ઇસ્લામમાં કહ્યું છે.

જે માટે તેણે તમામ પ્રકારની મદદની વાત કરી હતી. જેમાં તેણે કહ્યું હતું કે મૌલવી કમરગનીની કાયદાકીય મદદ કરવા માટેની ખાતરી આપી હતી. સાથેસાથે તેણે એવુ પણ કહ્યું હતું કે શબ્બીર જેલમાં હશે ત્યારે તેના પરિવારના આર્થિક મદદ પણ કરાવશે. આમ, કટ્ટરવાદી શબ્બીર હત્યા કરવા માટે તૈયાર થતા તેણે રાજકોટથી હથિયાર મંગાવીને આપ્યું હતુ. 

મૌલાના ઐયુબના રિમાન્ડ અને તેને લગતા પુરાવા એકત્ર કરતા એટીએસને અમદાવાદમાં મૌલાના ઐયુબે શબ્બીરની માફક કેટલાંક યુવાનો તૈયાર કર્યા હોવાની માહિતી મળી છે. જેમાં શાહઆલમ, દાણીલીમડા, મીરઝાપુર,, જમાલપુર, વટવા, દરિયાપુરમાં રહેતા કેટલાંક યુવાનોના નામ, મોબાઇલ નંબરની વિગતો મળી છે. જેના આધારે તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે રાજકોટ, જામનગરમાં પણ મૌલાના ઐયુબ સક્રિય હતો. 

બીજી તરફ મૌલાના ઐયુબે પુછપરછમાં એવી બાબતો સ્વીકારી છે કે મૌલાના કમરગની તેમને કાયદાકીય મદદ માટે હંમેશા વાત કરતો હતો અને તે એવું પણ કહેતો હતો કે જેણે ઇસ્લામ વિરૂધ્ધ ઉચ્ચારણ કર્યું હોય તેવા લોકોને કાયદાકીય  સજા બાદ ઇસ્લામિક કાનૂન મુજબ પણ સજા કરાવવી જરૂરી છે. જે માટે તે ઐયુબને કામગીરી સોંપતો હતો. આમ, એટીએસ હવે મૌલાના કમરગની અને મૌલાના ઐયુબ દ્વારા ગુજરાત અને દેશના અન્ય રાજ્યોમાં કરવામાં આવતી દેશ વિરોધી પ્રવૃતિ અંગે ઉંડાણ પૂર્વક તપાસ કરી છે.