વડોદરા, તા.11 વડોદરાના વાડી બદરી મહોલ્લામાં રહેતાં ૫૦ વર્ષના મરિયમબેન પ્રથમ વખત યુકે જતાં હતાં, પરંતુ તેમણે અમદાવાદથી લંડન જતી ફ્લાઇટમાં ઉડાન ભરતાની સાથે જ પ્લેન ક્રેશ થતાં જીવ ગુમાવ્યો હતો.
તા.૧૨ જૂન,૨૦૨૫ના રોજ બનેલી અમદાવાદની પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મૃત્યુ પામનાર મરિયમબેનના ભાઇ હુસૈનીભાઇએ જણાવ્યું હતું કે અમદાવાદ એરપોર્ટ પર તેમણે સામાન અને ટ્રોલી સાથે પડાવેલો ફોટો અંતિમ યાદ બની ગયો છે. તેઓ પ્લેનમાં પ્રવેશ્યાં ત્યારે પણ તેમણે પોતાની સીટનો વીડિયો બનાવીને અમોને મોકલ્યો હતો, પરંતુ હવે આ બધું ફક્ત યાદ બનીને રહી ગયું છે.
તેમણે ઉમેર્યું હતું કે મારા બનેવી ઇનાયતભાઇ ટેલરિંગની દુકાન ધરાવે છે તેમજ ભાણીયો અબ્બાસઅલી સિવિલ અન્જિનિયર છે. મારી ભાણી ઝેબાના લગ્ન મૂળ ફતેગંજના મસકુરઅલી સાથે થયા હતાં. તેઓ બંને યુકે સ્થાયી થયા છે અને એક વર્ષ પહેલા ઝેબાએ પુત્રીને જન્મ આપ્યો હોવાથી મારી બહેન મરિયમ પૌત્રીનું મોઢું જોવા માટે વિઝા મળતા પુત્રીના આગ્રહથી યુકે જઇ રહી હતી.
તેમણે કહ્યું હતું કે આવતીકાલે શુક્રવારે અમો પ્લેન ક્રેશની પ્રથમ વરસી નિમિત્તે અમદાવાદ જવાના છે જ્યાં પ્લેન દુર્ઘટનાના મૃતકોને અપાનારી શ્રધ્ધાજલીમાં ભાગ લઇશું. ત્યાં અમો અમેરિકાના વકીલ માર્ક એન્ડ્ર્યુને પણ મળવાના છે.


