Get The App

મહિસાગરમાં 123 કરોડના નલ સે જલ કૌભાંડ મામલે ભાજપ નેતા સહિત વધુ 3 આરોપીની ધરપકડ

Updated: Jun 20th, 2026

GS TEAM

Google News
Google News
મહિસાગરમાં 123 કરોડના નલ સે જલ કૌભાંડ મામલે ભાજપ નેતા સહિત વધુ 3 આરોપીની ધરપકડ 1 - image

Mahisagar Nal Se Jal Scam: મહીસાગર જિલ્લાના બહુ ચર્ચીત એવા નલ સે જલનાં 123 કરોડ રૂપિયાના કૌભાંડમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા આરોપીઓને ઝડપી પાડવાનો વેગ વધાર્યો છે. જેમાં ભાજપના નેતા સહિત વધુ ત્રણ આરોપીને ઝડપવાની સાથે 40 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા છે. જેમાં એક સાથે ત્રણ આરોપીને ઝડપી લેતા મહીસાગર પંથકમાં નલ સે જલમાં સામેલ કૌભાંડીઓમાં ભારે ચકચાર વ્યાપી જવા પામી છે.

ધરપકડ કરાયેલ કોન્ટ્રાક્ટર મુકેશ પટેલ એપીએમસીમાં ભાજપના ડિરેક્ટર 

નલ સે જલ યોજનાના કૌભાંડમાં કોન્ટ્રાક્ટર મુકેશ પટેલ ઉપરાંત અન્ય બે આરોપીઓ હેમેન્દ્રસિંહ સોલંકી અને સુભાષચંદ્ર પટેલનો સમાવેશ થાય છે. આ કૌભાંડમાં આરોપી મુકેશ પટેલ એપીએમસીમાં ભાજપના ડિરેક્ટર છે. તેઓની ધરપકડથી ભાજપના રાજકીય અને સહકારી ક્ષેત્રમાં ભારે ખળભળાટ વ્યાપી ગયો છે. તેમની પાસેથી સરકારને 1.78 કરોડ રૂપિયાની રીકવરી બાકી છે. મુકેશ પુના પટેલ દ્વારા જિલ્લાના 14 ગામોમાં કામગીરી કરી હતી. જેમાં ગેરરીતી આચરી હોવાનુ જાણવા મળેલ છે. મુકેશ પુના પટેલ અનેક સરકારી ખાતામાં બાંધકામના કામો કરી રહ્યા છે.

તો બીજા આરોપી હિતેન્દ્રસિંહ સોલંકી દ્વારા જિલ્લાના 7 ગામોમાં કામગીરી કરી હતી. જેના પેટે 60 લાખ રૂપિયાની રીકવરી છે. જ્યારે અન્ય આરોપી સુભાષચંદ્ર રેવાભાઇ પટેલ પાસે સરકારને 2.46 કરોડની રીકવરી બાકી છે.

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ અંગેના રિપોર્ટમાં મહત્ત્વની જાણકારીઓ છુપાવાઈ? પાયલોટના દાવાથી ખળભળાટ

સુભાષચંદ્ર પટેલના એસ.આર. કન્સ્ટ્રકશન દ્વારા અનેક સરકારી કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે તેમાં પણ તપાસ કરવામાં આવે તો વધુ કૌભાંડ બહાર આવી શકે તેમ છે. આ સાથે જ કૌભાંડમાં અત્યાર સુધી કુલ 40 ઇસમોની ધરપકડ થઇ ચૂકી છે. આરોપી કોન્ટ્રાક્ટર મુકેશ પટેલે મહીસાગર જિલ્લાના લુણાવાડા અને સંતરામપુર તાલુકાના કુલ 14 ગામોમાં ઘર-ઘર સુધી પીવાનું પાણી પહોંચાડવાના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં ભારે ભ્રષ્ટાચાર કર્યો હતો. હલકી ગુણવત્તાનું કામ કર્યું હતું અથવા તો કામ કર્યા વિના જ કાગળ પર ખોટા બિલો રજૂ કરીને કુલ રૂપિયા 1.78 કરોડની સરકારી ગ્રાન્ટની સીધી ઉચાપત કરી હતી.

ઉલ્લેખનીય છે કે આ યોજના હેઠળ 22 જૂન 2025ના રોજ વાસ્મોના ઉચ્ચ અધિકારી દ્વારા 12 સરકારી કર્મચારીઓ અને 111 ખાનગી એજન્સીઓ સામે સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરાઇ હતી.