Get The App

સુરતમાં સ્વિમિંગ પુલની દિવાલ પરથી ગાંધીજીનું ચિત્ર ગાયબ થતાં વિવાદ, મનપાની કામગીરી સામે ઉઠ્યા સવાલ

Updated: Apr 8th, 2026

GS TEAM

Google News
Google News
સુરતમાં સ્વિમિંગ પુલની દિવાલ પરથી ગાંધીજીનું ચિત્ર ગાયબ થતાં વિવાદ, મનપાની કામગીરી સામે ઉઠ્યા સવાલ 1 - image


Surat News : સુરત પાલિકાની ચૂંટણી પહેલાં ભાજપ કાર્યાલયનો પાર્કિંગમાં સરદાર સાહેબની પ્રતિમાનો વિવાદ હજી શમ્યો નથી, ત્યાં શહેરના મક્કાઈપુલ ખાતે પાલિકાના સ્વિમિંગ પુલની દિવાલ પરથી મહાત્મા ગાંધીજીનું ચિત્ર ગાયબ કરી દેવાયું છે. આગામી દિવસોમાં સ્વચ્છતા સર્વેક્ષણ ટીમ આવી રહી છે, ત્યારે સ્વચ્છતા સર્વેક્ષણ માટે ગાંધીજીનું ચિત્ર ગાયબ કરવામાં આવ્યું છે અને તેની જગ્યાએ સ્વિમિંગ પુલનું ચિત્ર બનાવવા માટેની કામગીરી શરુ કરવામાં આવી છે. ગાંધીજીનું પેઈન્ટિંગ હટાવી દેવાતા હવે બીજો વિવાદ ઉભો થયો છે. 

સુરત પાલિકાની ચૂંટણી પહેલાં મહાનુભવોના નામ સાથે કેટલાક વિવાદ જોડાઈ રહ્યાં છે. ગઈકાલે(7 એપ્રિલ, 2026) ઉધના ખાતેના ભાજપ કાર્યાલયના પાર્કિંગમાં સરદાર પટેલની પ્રતિમા ધૂળ ખાતી જોવા મળી હતી. આ અંગેના અહેવાલ બાદ ભાજપ કાર્યાલય પાર્કિંગમાંથી સરદાર સાહેબની પ્રતિમા હટાવી અન્ય જગ્યાએ મૂકવામાં આવી હતી. જો કે, આ વિવાદ હજુ સમે તે પહેલા શહેરના મક્કાઈપુલ ખાતે સુરત પાલિકાના સ્વિમિંગ પુલ બહાર સ્વસ્થતા સર્વેક્ષણ અને આઝાદી કા અમૃત મહોત્સવના પેઈન્ટિંગ દિવાલને લઈને નવો વિવાદ સર્જાયો છે. 

ગાંધીજીનું ચિત્ર ગાયબ થતાં વિવાદ

આગામી દિવસોમાં સુરત શહેર સ્વચ્છતા સર્વેક્ષણ માટે કેન્દ્ર સરકારની ટીમ આવી રહી છે. જો કે, આ ટીમ સુરતની મુલાકાત લે તે પહેલાં પાલિકાના સ્વિમિંગ પુલની દિવાલ પરથી ગાંધીજીના ચિત્રોને દૂર કરી હવે, આ જગ્યાએ સ્વિમિંગ પુલના ચિત્રો બનાવવા માટે કવાયત શરુ થઈ ગઈ છે. 

આ પણ વાંચો: ચૂંટણી પ્રચારમાં જય સરદારના નારા પણ ભાજપ કાર્યાલયના પાર્કિંગમાં ધૂળ ખાતી સરદાર સાહેબની પ્રતિમા

જેના કારણે લોકોમાં ચર્ચા થઈ રહી છે કે, 'ગાંધીજીના પેઈન્ટિંગ દૂર કરવા માટે આ સમય યોગ્ય નથી. આ સમયે જ કેમ ચિત્રો હટાવવામાં આવી રહ્યાં છે, તે અંગે લોકોમાં અનેક અટકળો થઈ રહી છે. સુરત શહેરમાં મહાનુભવોના નામે રાજકીય લાભ લેવાય છે, પરંતુ તેમની પ્રતિમા અને ચિત્રો પ્રત્યે આ પ્રકારની બેદરકારી વારંવાર સામે આવતા હવે લોકોમાં અસંતોષ વધી રહ્યો છે. સ્વચ્છતા સર્વેક્ષણની તૈયારી વચ્ચે ઉદ્ભવેલા આ વિવાદે પાલિકાની કામગીરી અને પ્રાથમિકતાઓ પર પણ સવાલ ઉભા કર્યા છે.'