Madhavpur Fair, Porbandar : ગુજરાતના પોરબંદર નજીક માધવપુર ઘેડનો મેળો યોજાય છે. દર વર્ષે ચૈત્ર મહિનામાં ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્ષ્મણીજીના વિવાહ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ મેળાના આકર્ષણમાં વધારો થાય તેમજ પ્રવાસીઓ માધવપુરના નયનરમ્ય બીચ પર વિવિધ રમતોનો આનંદ માણી શકે તે હેતુસર 'બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ'નું આયોજન કરવામાં આવ્યું છે.
ઘેડના મેળામાં બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ યોજાશે
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પોરબંદર દ્વારા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી માધવપુરના દરિયા કિનારે 27 માર્ચથી 30 માર્ચ 2026 દરમિયાન બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ યોજાશે.
650થી વધુ ખેલાડીઓ ભાગ લેશે
આ સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 650થી વધુ ખેલાડીઓ વિવિધ રમતોમાં ભાગ લેશે.
વિવિધ સ્પર્ધાઓનું આયોજન
આ ફેસ્ટિવલ અંતર્ગત બીચ ફૂટબોલ, બીચ કબડ્ડી, 100 મીટર દોડ, નાળીયેર ફેંક તેમજ પરંપરાગત અખાડા કુસ્તી જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ તૈયારીઓ તડામાર ગતિએ ચાલી રહી છે.
ઘેડના મેળાનું ભવ્ય આયોજન
પોરબંદરથી 46 કિલોમીટર દૂર પૌરાણિક ઐતિહાસિક અને વિરાસત ધરાવતું માધવપુર ગામ ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્ષ્મણીજીના વિવાહનું સાક્ષી હોવાનું માનવામાં આવે છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારે આવેલા પોરબંદરના માધવપુરના ઘેડના મેળો 27 માર્ચથી 31 માર્ચ 2026 સુધી યોજાશે. મેળામાં ઉત્તર પૂર્વ તથા ગુજરાતના લોક કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવશે. જેમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્ષ્મણીજીની લગ્નકથા, ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્ષ્મણીજીનો પ્રેમ સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો નીહાળવા મળશે.


