જંગલેશ્વરના રાધાકૃષ્ણનગર સોસાયટીની ઘટના
બંનેની લગ્ન માટેની ઉંમર એક વર્ષ ઓછી હતી, પરિવારે રાહ જોવાનું કહેતાં પગલું ભરી લીધાની શક્યતા
પોલીસ તપાસમાં બહાર આવ્યા પ્રમાણે કાજલના પિતા હૈયાત નથી. હાલ તે માતા સાથે રાધાકૃષ્ણનગર શેરી નં.૪માં રહેતી હતી. તેનો પ્રેમી ચેતન ચૂનારાવાડ ચોક પાસે અંબિકા સોસાયટીમાં રહેતો હતો. ગત રવિવારે કાજલ તેની માતા સાથે વાંકાનેર પંથકમાં રહેતાં મામાના ઘરે ગઈ હતી. જયાંથી તે રાત્રે નીકળી ગઈ હતી. ગઈકાલે પાડોશી પાસેથી ચાવી લઈ પોતાના ઘરે ગઈ હતી.
આજે તેની માતા આવતાં દરવાજો અંદરથી બંધ મળ્યો હતો. આખરે તપાસ કરતાં રૂમમાં છતના બે હુકમાં કાજલ અને તેનો પ્રેમી ચેતન લટકતા મળી આવ્યા હતા. બંનેએ હુક સાથે દોરડાં બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. જાણ થતાં ૧૦૮ના તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા. ભક્તિનગર પોલીસે સ્થળ પર જઈ તપાસ કરી હતી.
પોલીસે જણાવ્યું કે લગ્ન માટે કાજલ અને ચેતનની ઉંમર એક વર્ષ ઓછી હતી. આ કારણથી પરિવારજનોએ બંનેને એક વર્ષ રાહ જોવાનું કહ્યું હતું. પરંતુ બંને આટલો સમય રાહ જોઈ શકે તેમ ન હોવાથી કદાચ આ પગલું ભરી લીધાનું જણાય છે. બંને પક્ષોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. તેના પછી સાચા કારણ અંગે ખુલાસો થશે.


