કોર્પોરેશનની ચૂંટણીમાં ફોર્મ ભરવાના શ્રીગણેશ
ઉમરાળા તા.પં.ની ચૂંટણી માટે હજુ એક પણ ફોર્મ ભરાયું નથી, ઉમેદવારીપત્રો ભરવાનો કાલે છેલ્લો દિવસ
ભાવનગર - ભાવનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીનું બ્યૂંગલ વાગી ગયં છે. પાછલા બે દિવસમાં કુલ ૬૬ ફોર્મ ભરાયા છે.
છઠ્ઠી એપ્રિલથી ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે ફોર્મ ભરવાનું શરૃ થઈ ગયું છે. પ્રથમ બે દિવસ ખાતું પણ ખુલ્યું ન હતું. ત્યારપછીના બે દિવસમાં ઉમેદવારીપત્રો ભરવાનો રાફડો ફાટવાનું શરૃ થઈ ગયું છે. જિલ્લાની ૧૦ તાલુકા પંચાયતની ચૂંટણી માટે ગઈકાલે બુધવારે ૦૪ ફોર્મ ભરાયા બાદ આજે ગુરૃવારે એક સાથે ૪૩ ફોર્મ આવતા બે દિવસમાં ૫૧ ઉમેદવારીપત્રો જમા કરાવી દેવાયા છે. ૧૦ પૈકીની એકમાત્ર ઉમરાળા તા.પં.ની ચૂંટણીમાં હજુ એક પણ ફોર્મ ભરાયું નથી. જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ગઈકાલે ૦૨ અને આજે ૦૮ મળી કુલ ૧૦, મહુવા, પાલિતાણા અને વલ્લભીપુર ન.પા.ની ચૂંટણી માટે ગઈકાલે ૦૧ અને આજે ૦૩ મળી કુલ ૦૪ ફોર્મ ભરાયા છે. ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ભરવાના આજથી શ્રીગણેશ થયા છે. એક ઉમેદવારે ચૂંટણી લડવા દાવેદારી કરી ફોર્મ જમા કરાવ્યું હોવાનું સત્તાવાર જાણવા મળ્યું છે.
ઉલ્લેખનિય છે કે, ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તા.૧૧-૪ને શનિવાર છે. જેથી બે જ દિવસ બાકી રહ્યા હોય, આવતીકાલથી મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવારો પણ ફોર્મ ભરવાનું શરૃ કરે તેવી માનવામાં આવી રહ્યું છે.


