અમદાવાદ,મંગળવાર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કેટલાંક વોર્ડમાં દરિયાપુર અને ખાડિયા જેવા વોર્ડમાં ભાજપને હાર મળવાની સાથે સ્થાનિક કાર્યકરોના આંતરિક રોષની લાગણી પણ જોવા મળી છે. જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ભાજપે સ્થાનિક લોકોની માંગણીને બદલે ભાજપના ધારાસભ્યની ભલામણ આધારે ટિકિટની વહેચણી કરતા હારનો સામનો કરવાનો વારો આવ્યો છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને મોટાભાગના વોર્ડમાં પેનલમાં જીત મળી હોવા છતાંય, દરિયાપુર અને ખાડિયા જેવા મહત્વની વોર્ડમાં મળેલી હારના કારણે સ્થાનિક વિસ્તારમાં કાર્યકરોમાં રોષની લાગણી છે. દરિયાપુર વોર્ડમાં ભાજપની કારમી હાર માટે કાર્યકરોએ ધારાસભ્ય કૌશિક જૈનને જવાબદાર ગણાવ્યા છે. સ્થાનિક કાર્યકરોએ જણાવ્યું હતું અમે ઉમેદવારોની પસંદગી સમયે સ્પષ્ટ જણાવ્યું હતું કે દરિયાપુર વોર્ડમાં બે ટિકિટ મુસ્લિમ ઉમેદવારને આપવામાં આવે તો ભાજપ તરફી માહોલ બની શકે છે. તેમ છતાંય, મવડી મંડળે સ્થાનિક ધારાસભ્યની પસંદગીના ઉમેદવારોને ટિકિટ આપી હતી. જ્યારે ભાજપના કેટલાંક મુસ્લિમ કાર્યકરોએ ટિકિટ માંગીને પેનલ જીતાડવાની ખાતરી આપીને સેન્સમાં ભાગ લીધો હતો. પરંતુ, તેમના લાગણી સાઇડલાઇન કરવામાં આવતા ભાજપને દરિયાપુર જેવો મહત્વનો વોર્ડ ગુમાવવાનો વારો આવ્યો છે.


