વડોદરા,શિડયૂલ એચ - ૧ માં આવતી કોડિન કફ સિરપ બિલ બારોબાર વેચતા વેપારીનું લાયસન્સ કાયમી ધોરણે રદ્દ કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં નશાકારક દવાના ગેરકાયદે વેચાણ અંગે પડેલા દરોડાના તાર વડોદરા સુધી આવ્યા હતા. વડોદરાના ભાયલી ટી.પી. - ૪ ખાતે આવેલી મે.હેમકેરફાર્મા નામની દુકાનના પરવાનેદાર પ્રતિકકુમાર એન. બારોટ હોલસેલનો પરવાનો ધરાવે છે. ત્યાં તપાસ કરવામાં આવતા પરવાનેદાર પ્રતિક નરેન્દ્રકુમાર બારોટ દ્વારા નશાકારક કફ સિરપનો મોટો જથ્થો સગેવગે કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. તેણે છેલ્લા ત્રણ મહિનામાં અમદાવાદની પવન એજન્સી પાસેથી કોડિન ઘટક ધરાવતી કફ સિરપની ૮,૫૩૦ બોટલ ખરીદી હતી. તપાસ દરમિયાન દુકાન પર દવાનો કોઇ જથ્થો ઉપ્લબ્ધ નહતો. કુલ બોટલો પૈકી માત્ર ૪,૮૭૦ બોટલના વેચાણના બિલ મળી આવ્યા હતા. બાકીની ૯૮૦ બોટલ કોઇ પણ બિલ કે પ્રિસ્ક્રિપ્શન વગર જ અજાણ્યા વ્યક્તિને વેચી દેવામાં આવી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા પરવાનો કાયમ માટે રદ્દ કરવામાં આવ્યો છે.


