Gujarat

ખાણની લીઝની માલિકી ઘણીવાર બદલાઈ ગઈ હોવા છતાં વરસો પૂર્વેના ખોદકામની અત્યાારે માપણી કરી હાલના કબજેદાર પાસે ઉઘરાણું

By GS Team
4 Dec 20212 mins read
This article was originally published on 4 Dec 2021
ખાણની લીઝની માલિકી ઘણીવાર બદલાઈ ગઈ હોવા છતાં  વરસો પૂર્વેના ખોદકામની અત્યાારે માપણી  કરી હાલના કબજેદાર પાસે ઉઘરાણું

(પ્રતિનિધિ તરફથી) અંમદાવાદ,શનિવાર

ગુજરાત સરકારના ખાણ અને ખનીજ વિભાગે વરસો પહેલા ઉત્ખનન માટે આપવામાં આવેલા બ્લૉકની માલિકી બદલાઈ ગયા પછી તેમાં થયેલા ઉત્ખનનની માપણી કરીને તેના પ્રમાણમાં હાલના કબજેદાર પાસેથી રોયલ્ટીની ઉઘરાણી કરવા માંડી છે. પરિણામે વર્તમાન ખાણ માલિકો તેમનાથી નારાજ થવા માંડયા છે અને લડાયક મૂડમાં આવવા માંડયા છે. લીઝ પર આપેલા બ્લૉકની માલિકી એક કરતાં વધુ માલિકોના હાથમાં ફરી ગયા પછીય સરકારે ચાલુ કરેલી આ કવાયત સામે પણ ક્વોરિ ઉદ્યોગમાંથી વિરોધ ઊઠવા માંડયો છે.

ગુજરાત બ્લૅક સ્ટોન ક્વોરિઝ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન આ મુદ્દે ઉદ્યોગ અને ખાણ વિભાગ સમક્ષ રજૂઆત કરતા જણાવે છે કે ઉત્ખનના ખાડા માપપવામાં હાલના ખાડા માપે તો માપવામાં મોટી ભૂલ થવાની સંભાવના રહેલી છે. પરિણામે રોયલ્ટી અંગેના વિવાદો વકરી જવાની સંભાવના રહેલી છે. તેમ જ લીઝ મંજૂર થઈ હોય ત્યારના ગ્રાઉન્ડ લેવલ પણ બરાબર ન હોય કે જમીનની સપાટી સરખી ન હોય તો પણ માપણીમાં તફાવત આવવાની સંભાવના રહેલી છે. પથ્થરની ખાણની ઊંડાઈ ૧૦૦થી ૧૫૦ સુધીની થઈ હોય તો તેની ડેન્સિટી-ઘનતા અલગ આવવાની સંભાવના રહેલી છે. સરકાર દ્વારા ઘનમીટરને ટનમાં રૃપાંતરિત કરવાની અપનાવવામાં આવી રહેલી પદ્ધતિથી પણ ઉત્ખનન કરેલી વસ્તુઓના માપ બરાબર મળી શકે નહિ.

ગૌણ ખનીજની કક્ષામાં આવતી બ્લેક ટ્રેપના ઉત્ખનન માટે સરકાર માઇનિંગ પ્લાન્ટ અને ઇ.સી.નો આગ્રહ રાખે છે. પરંતું માઈનિંગ પ્લાન્ટમાં તેની જરૃર પડતી જ નથી. તેથી માઇનિંગ પ્લાન્ટ અને ઈ.સી.ની રિક્વાયરમેન્ટ કોઈ પૂર્ણ કરી શકે તેમ જ નથી. તેથી ગૌણ ખનીજમાં માઈનિંગ પ્લાન્ટ રાખવાનો અને ઈ.સી.નો આગ્રહ રાખવાનું ખાણ અને ખનીજ વિભાગ બંધ કરી દે તેવી માગણી માઇનિંગ એસોસિયેશન દ્વારા કરવામાં આવી છે. બ્લૅકટ્રેપના ટ્રાન્સપોર્ટેશનમાં ઓવર લોડની નામે આર.ટી.ઓ.ના અધિકારીઓ મોટી રકમ પડાવી રહ્યા છે. તેમના દ્વારા ડિટેઈન કરવામાં આવેલા માલ માટે રૃા. ૧ લાખની પનલ્ટી માગવામાં આવે છે. આ માગણી તેમને માન્ય ન હોવાનું તેમનું કહેવું છે. જે ગાડીમાં જેટલો માલ ભર્યો હોય તે પ્રમાણમાં રોયલ્ટી લેવાવી જોઈએ. આર.ટી.આ.ના અધિકારીઓની કનડગતથી મુક્તિ અપાવવી જોઈએ. ક્વોરી બનાવી હોય તે વિસ્તારમાં માનવ વસાહત ન થાય તેની તકેદારી રાખવી જોઈએ. માનવ વસાહત ઊભી કર્યા બાદ ક્વોરી માલિકોને તેઓ બ્લેક મેઈલ કરતાં હોવાની પણ ફરિયાદ કરવામાં આવી છે.

પ્રાઈવેટ લાઈનમાં બ્લૉક માગવામાં આવે તો તેની ફાળવણી ત્વરિત થવી જોઈએ તેવી માગણી પણ ક્વોરિ એસોસિયેશન દ્વારા કરવામાં આવી છે. ક્વોરિ ઉદ્યોગ દ્વારા એક ટન બ્લૅક ટ્રેપ પર રૃા. ૪૫ની રોયલ્ટી ભરવામાં આવે છે. તેના પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લેવામાં આવી રહ્યો છે. આ ટેક્સ ટેક્સ ઉપરનો ટેક્સ જ છે. તથી બંધ કરી દેવો જોઈએ.