Get The App

કવાંટના વિશ્વપ્રસિદ્ધ ‘ગેર મેળા’ને મળી નવી ઓળખ: ખાસ ‘ડાક ટિકિટ’ અને વિશેષ આવરણનું કરાયું વિમોચન

Updated: Mar 5th, 2026

GS TEAM

Google News
Google News
કવાંટના વિશ્વપ્રસિદ્ધ ‘ગેર મેળા’ને મળી નવી ઓળખ: ખાસ ‘ડાક ટિકિટ’ અને વિશેષ આવરણનું કરાયું વિમોચન 1 - image


Kwant Gher Mela Postage Stamp Release: ગુજરાતની સમૃદ્ધ આદિવાસી પરંપરા અને સાંસ્કૃતિક વારસાને રાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. છોટાઉદેપુર જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ ‘કવાંટ ગેર મેળા’ પર આધારિત કસ્ટમાઇઝ્ડ ડાક ટિકિટ અને વિશેષ આવરણનું 05 માર્ચ 2026ના રોજ મુખ્યમંત્રી દ્વારા વિમોચન કરવામાં આવ્યું છે.

શું છે ‘કવાંટ ગેર મેળા’ની વિશેષતા?

હોળીના તહેવાર પછી તરત જ યોજાતો ‘કવાંટ ગેર મેલો’ માત્ર એક ઉત્સવ નથી, પણ આદિવાસી સંસ્કૃતિનું જીવંત પ્રતિબિંબ છે. તેની મુખ્ય વિશેષતાઓમાં ગેર નૃત્ય અને પરંપરાગત વાદ્યો છે. એટલે કે ઢોલ-નગારાના તાલે થતું પરંપરાગત નૃત્ય આ મેળાનું મુખ્ય આકર્ષણ છે. આદિવાસી પુરુષો પોતાના શરીર પર પીઠોરા શૈલીની કલાત્મક આકૃતિઓ અને રંગબેરંગી વેશભૂષા ધારણ કરે છે. આ મેળો આદિવાસી સમાજની એકતા, શ્રદ્ધા અને ભાઈચારાનું પ્રતિક છે. તે સામાજિક સમરસતાનું પ્રતિક છે.

આદિવાસી વારસાનું આંતરરાષ્ટ્રીય બ્રાન્ડિંગ 

ભારતીય ડાક વિભાગ દ્વારા લેવાયેલા આ નિર્ણયથી રાઠવા આદિવાસી સમાજની વર્ષો જૂની પરંપરાને હવે વૈશ્વિક મંચ મળશે. વિમોચન પ્રસંગે જણાવવામાં આવ્યું હતું કે, ડાક ટિકિટ એ માત્ર ટિકિટ નથી પણ દેશના ઇતિહાસ અને વારસાને દર્શાવતું માધ્યમ છે. કવાંટ ગેર મેળા પર ડાક ટિકિટ જારી થવાથી યુવા પેઢીમાં પોતાની મૂળ સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ આવશે. આદિવાસી કલા, સંગીત અને નૃત્યને દસ્તાવેજી સ્થાયિત્વ મળશે. અને પ્રવાસન ક્ષેત્રે આ મેળાની પ્રતિષ્ઠા વધશે.

આ પણ વાંચો: ગુજરાત કોંગ્રેસની સ્ટેટ લેવલ સમિતિઓની જાહેરાત, સ્થાનિક ચૂંટણી માટે જૂના જોગીઓના શીરે જવાબદારી

આ પ્રસંગે છોટાઉદેપુરના સાંસદ, ધારાસભ્ય, કલેક્ટર અને આદિવાસી સમાજના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. છોટાઉદેપુરના કલેક્ટર અને સાંસદે આ પહેલને બિરદાવતા કહ્યું હતું કે, રાઠવા સમાજની આ પરંપરા હવે ટપાલના માધ્યમથી દેશ-વિદેશના ખૂણે-ખૂણે પહોંચશે, જે આદિવાસી કલાના જતન માટે ગૌરવની ક્ષણ છે.