Get The App

કચ્છ: મુંદ્રાના ભોરારા નજીક કેનાલમાં ડૂબી જવાથી બે સગીર મિત્રોના મોત, પરિવારોએ કુળદીપક ગુમાવ્યા

Updated: Feb 6th, 2026

GS TEAM

Google News
Google News
કચ્છ: મુંદ્રાના ભોરારા નજીક કેનાલમાં ડૂબી જવાથી બે સગીર મિત્રોના મોત, પરિવારોએ કુળદીપક ગુમાવ્યા 1 - image


Kutch News: કચ્છના મુંદ્રા તાલુકાના ભોરારા ગામ નજીક પસાર થતી નર્મદા કેનાલ બે આશાસ્પદ કિશોરો માટે કાળમુખી સાબિત થઈ છે. ટ્યુશન ક્લાસમાં સાથે ભણતા અને ફરવા નીકળેલા બે પરમ મિત્રોના કેનાલના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

ટ્યુશન ક્લાસમાં કેનાલ પર ફરવા જવાનું આયોજન કર્યું હતું

મળતી માહિતી અનુસાર, સાગર પાંડે અને અપૂર્વ ગઢવી નામના બે મિત્રો મુંદ્રામાં એક જ ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતા હતા. ગઈકાલે (પાંચમી ફેબ્રુઆરી) સવારે ટ્યુશનમાં આ બંને મિત્રોએ તેમના એક ત્રીજા મિત્ર સાથે કેનાલ પર ફરવા જવાનું આયોજન કર્યું હતું. જો કે, ત્રીજા મિત્રએ સામાજિક કામ હોવાથી સાથે આવવાની ના પાડી હતી. સાંજે પાંચ વાગ્યે સાગર અને અપૂર્વ પોતાનું મોપેડ લઈને કેનાલ બાજુ ફરવા નીકળ્યા હતા, જે તેમની અંતિમ સફર બની રહી હતી.

મોડી રાત્રે મળી આવ્યા મૃતદેહ

રાત્રે આઠ વાગ્યા સુધી બંને કિશોરો ઘરે પરત ન ફરતા ચિંતિત પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન કેનાલ કાંઠેથી તેમના ચપ્પલ અને મોપેડ મળી આવતા પરિવારના જીવ અધ્ધર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ ભુજ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. રાત્રિના અંધકારમાં ફાયર વિભાગની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું. કલાકોની જહેમત બાદ મોડી રાત્રે બંનેના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

ઘરના લાડકવાયા અને કુળદીપક સમાન બે તેજસ્વી પુત્રોના આમ અચાનક વિદાયથી બંને પરિવારો પર આભ ફાટ્યું છે. હોસ્પિટલ અને કેનાલ કાંઠે સ્વજનોના હૈયાફાટ રુદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.