Gujarat

ખંભાતમાં ફરી કોમી અથડામણ: આગચંપી, પથ્થરમારો

By GS Team
23 Feb 20202 mins read
This article was originally published on 23 Feb 2020
ખંભાતમાં ફરી કોમી અથડામણ: આગચંપી, પથ્થરમારો

ત્રણ મકાનોને આગ ચંપાતા તંગદિલી: ટોળાને કાબુમાં લેવા પોલીસે ટીયરગેસના આઠ સેલ છોડયા  પથ્થરમારામાં છ વ્યક્તિને ઇજા: રેન્જ આઇજી સહિતનો પોલીસ કાફલો ખંભાતમાં ખડકાયો

આણંદ,તા.23 ફેબ્રુઆરી 2020 રવિવાર

ખંભાત શહેરના અકબરપુરા જોડિયા વિસ્તારમાં જૂની અદાવતને લઈને બે જૂથો સામસામે આવી ગયા હતા અને પથ્થરમારો તથા મકાનોને આગચંપી કરતા અફડાતફડીભર્યો માહોલ સર્જાયો હતો. સામસામે પથ્થરમારામાં છ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. જો કે, તોફાનને પગલે દોડી આવેલી પોલીસે ટોળાંને કાબૂમાં લેવા આઠ ટીયરગેસના શેલ છોડયા હતા અને પોલીસ દ્વારા લીંડીચોક, તીનબત્તી, પીરોજપર વગેરે વિસ્તારોમાં સઘન પેટ્રોલીંગ હાથ ધરાયું હતું.

ખંભાતમાં અકબરપુરા વિસ્તારમાં થોડાં સમય પહેલાં જૂની અદાવતને લઈને હિંસક અથડામણ થતાં પથ્થરમારો, ગોળીબારમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું આ ઘટનાની શાહી સુકાઈ નથી ત્યાં રવિવારે ફરી બે જુથો આમનેસામને આવી જતા પથ્થરમારો કર્યો હતો અને ટોળાએ ત્રણ મકાનોને આગચંપી કરતા અફડાતફડીભર્યો માહોલ સર્જાયો હતો. ઘટનાને પગલે જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ ખંભાત દોડી આવ્યા હતા.

ખંભાત શહેરના તીનબત્તી, લીંડીચોક, અકબરપુરા, પીરોજપર સહિતના વિસ્તારોમાં તંગદિલીભર્યો માહોલના પગલે લોકો ભયના ઓથાર તળે આવી ગયા હતા. ઘટનાની જાણ થતાં જિલ્લાભરનો પોલીસ કાફલો ખંભાત ખાતે ખડકી દેવાયો હતો. આ ઉપરાંત મકાનો, દુકાનો અને કેબીનોમાં લાગેલી આગને કાબૂમાં લેવા ફાયરબ્રિગેડ તેમજ પોલીસના જવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. જોકે, સંવેદનશીલ વિસ્તારોમાં ટોળાના પથ્થમારા વચ્ચે જવાનોએ અનિચ્છનીય બનાવ ટાળવા જીવના જોખમે ટીયરગેસના શેલ છોડવા પડયા હતા. હિંસક તોફાનમાં આઠ જેટલા લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.