Gujarat

પરશોત્તમ રૂપાલાએ માફી માગી લીધી એટલે આ વિવાદનો અંત આવી ગયો : જયરાજસિંહ જાડેજા

By GS Team
29 Mar 20244 mins read
This article was originally published on 29 Mar 2024
TukuTouch Logo
આજે રાજકોટના ગોંડલના શેમાળા ગામે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના ફાર્મ હાઉસ 'ગણેશગઢ' ખાતે એક મોટી બેઠક મળી હતી. જેમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ, રાજકારણીઓ, કરણી સેના સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગોંડલ ખાતે ક્ષત્રિય સમાજની બેઠકમાં કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા પહોંચ્યા હતા. ભાજપના ટોચના ક્ષત્રિય અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં પરશોત્તમ રૂપાલાને બે હાથ જોડીને જાહેરમાં ક્ષત્રિય સમાજની માફી માગી હતી. તેમણે કહ્યું કે, મારી ભૂલ થઈ ગઈ. માફી આપવા ક્ષત્રિય આગેવાનોએ સમાજને અપીલ કરી છે. તો પરશોત્તમ રૂપાલાએ માફી માગ્યા બાદ જયરાજસિંહ જાડેજાએ પણ નિવેદન આપ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

પરશોત્તમ રૂપાલાએ માફી માગી લીધી એટલે આ વિવાદનો અંત આવી ગયો : જયરાજસિંહ જાડેજા

Parshottam Rupala News : આજે રાજકોટના ગોંડલના શેમાળા ગામે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના ફાર્મ હાઉસ 'ગણેશગઢ' ખાતે એક મોટી બેઠક મળી હતી. જેમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ, રાજકારણીઓ, કરણી સેના સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગોંડલ ખાતે ક્ષત્રિય સમાજની બેઠકમાં કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા પહોંચ્યા હતા. ભાજપના ટોચના ક્ષત્રિય અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં પરશોત્તમ રૂપાલાને બે હાથ જોડીને જાહેરમાં ક્ષત્રિય સમાજની માફી માગી હતી. તેમણે કહ્યું કે, મારી ભૂલ થઈ ગઈ. માફી આપવા ક્ષત્રિય આગેવાનોએ સમાજને અપીલ કરી છે. તો પરશોત્તમ રૂપાલાએ માફી માગ્યા બાદ જયરાજસિંહ જાડેજાએ પણ નિવેદન આપ્યું હતું.

મારા જીવનમાં આવું ક્યારેય નથી થયું, મારી જીભથી નીકળેલા શબ્દોનો મને રંજ છે : પરશોત્તમ રૂપાલા

આ દરમિયાન પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બે હાથ જોડીને માફી માગી હતી. તેમણે કહ્યું કે, મારી ભૂલ થઈ ગઈ. મારા માટે અફસોસની વાત છે કે આવી ભૂલ થઈ, મારા જીવનમાં આવું ક્યારેય નથી બન્યું. હું જયરાજસિંહજીનો આભારી છું કે તમે આ આગેવાની લીધી અને આ પ્રશ્નનો ઉકેલ લાવવામાં પ્રયાસ કર્યો છે. મારા કારણે પાર્ટીને નુકશાન થયું તે માટે હું સૌની માફી માંગુ છું. હું કાર્યક્રમમાં જતો હોવ તેમ મારું સ્વાગત કરાયું છે. મારી જીભથી નીકળેલા શબ્દોનો મને રંજ છે. મારી જીભથી ક્યારે આવું થયું નથી. મારા નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે. મેં તેની માફી પણ માગી છે. મેં બે હાથ જોડીને માફી માગી છે. મારા માટે નહીં પરંતુ મારી પાર્ટી માટે મને માફ કરી દો. મારા માટે નહીં પણ મારી પાર્ટી માટે સમાજની માફી માગુ છું. આ ક્ષતિ સંપૂર્ણ મારી ક્ષતિ છે,જવાબદાર હું છું. મારા કારણે ક્ષત્રિય સમાજને સહન કરવું પડશે તેની જવાબદારી મારી. હું સમગ્ર દેશના ક્ષત્રિય સમાજને વિનંતી અને અપીલ કરૂ છું અને માફી માગુ છું.' આ સાથે રૂપાલાએ જયરાજસિંહનો પણ આભાર માન્યો હતો.

રૂપાલાએ માફી માગી લીધી એટલે આ વિવાદનો અંત આવી ગયો : જયરાજસિંહ જાડેજા

પરશોત્તમ રૂપાલાએ માફી માગ્યા બાદ જયરાજસિંહ જાડેજાએ કહ્યું કે, 'પરશોત્તમભાઈ રૂપાલાના નિવેદનથી સૌથી વધુ મને દુઃખ થયું. રૂપાલાએ 40 મિનિટનો માફીનો વિડિયો મૂક્યો છે. તેમણે સમાજની માફી માગી છે એટલે આ વિવાદનો અંત આવી ગયો છે. હવે રાજપૂત સમાજમાં કોઈ રોષ નથી. રૂપાલા સાહેબની ભૂલને ભૂલી જવાની છે. આ મારો નિર્ણય નહીં, રાજપૂત સમાજનો નિર્ણય છે. પુરષોતમ રૂપાલાને માફ કરવા મંચ પરથી અપીલ કરુ છું. આપણો ક્ષાત્ર ધર્મ કહે છે કે આપણા બાપુજીનું માથું વાઢી નાખ્યું હોય તો પણ આપણા શરણે આવે તો આપણે માફી આપી દઈએ, ઈતિહાસમાં આવું બન્યું છે.'

તમે સમાજને ગુમરાહ ન કરો : જયરાજસિંહ જાડેજા

માફીનો વિરોધ કરનારાઓને જયરાજસિંહ જાડેજાએ સલાહ આપતા કહ્યું હતું કે, 'સમાજને ગુમરાહ ન કરો. પી.ટી.જાડેજાએ પણ અગાઉ માફી માગી છે. એનાથી પણ ભૂલ થઈ હતી ત્યારે હું ગયો હતો. તમે સમાજને ગુમરાહ ન કરો, એમ છતાં કાંઈ કરવું હોય તો કરી લેજો. મારી સીટ પર મારા સમાજના માત્ર સાત હજાર મત છે. ભાજપે ક્ષત્રિય સમાજને ઘણું આપ્યું છે. ગોંડલ બેઠક પર લેઉવા પટેલ મતદારો છતા ક્ષત્રિયને ટિકિટ આપી છે. પાર્ટી સમજી વિચારીને ટિકિટ આપી છે. ભાજપે રાજ્યસભામાં પણ ક્ષત્રિય સમાજને પ્રતિનિધિત્વ આપ્યુ છે.'

જયરાજસિંહે સવાલ ઉઠાવનારાઓને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું હતું કે, 'હું સોશિયલ મીડિયાનો જવાબ આપતો નથી. બહાદુરો એકઠા થાય તો તે જ્યાં કહેશે ત્યાં હુ જવા તૈયાર છું. સોશલ મીડિયામાં સવાલો કરનારા એક જગ્યાએ એકઠા થાય હું જવાબ આપીશ.'

અત્રે ઉલ્લેખનીય છે કે, ગોંડલ ખાતે મળેલ બેઠકમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, ધારાસભ્ય કિરીટસિંહ રાણા, રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, રાજકોટ લોધીકા સહકારી સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા, રાજકોટ ભાજપના મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, રાજકોટ ભાજપના ઉપપ્રમુખ રાજદીપસિંહ જાડેજા સહિત રાજકોટ શહેર જિલ્લાના ભાજપના ક્ષત્રિય સમાજના નેતાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તો કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

શું હતો સમગ્ર વિવાદ?

લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર શરૂ કરી દેવાયો છે. ત્યારે હવે રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડનારા પરશોત્તમ રૂપાલા વિવાદમાં આવ્યા છે. પરશોત્તમ રૂપાલાનો એક કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અનુસૂચિત જાતિ સમુદાયના એક કાર્યક્રમમાં રજવાડાઓ અંગે બોલતા સમયે તેમની જીભ લપસી હતી. જેમાં તેમણે ક્ષત્રિય સમાજ અંગે બફાટ કર્યો હતો. પરશોત્તમ રુપાલાના એક નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે, વિવાદ વકરતા પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી પણ માગી હતી.