Jamnagar Fraud Case : જામનગર શહેરમાં વધુ એક મોટા આર્થિક ફૂલેકા પ્રકરણને લઈને વેપારી વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે. શહેરના સુપરમાર્કેટ વિસ્તારમાં કાપડના વેપાર સાથે સંકળાયેલા એક વેપારી દ્વારા આશરે રૂપિયા 25 કરોડથી વધુનું ફૂલેકું ફેરવી પત્ની અને બાળક સાથે ફરાર થઈ જતાં અનેક વેપારીઓના નાણાં અટવાઈ ગયા હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ જામનગરના વાલકેશ્વરી નગરી વિસ્તારમાં રહેતા અને સુપરમાર્કેટમાં “દીપાલી એન્ટરપ્રાઇઝ” નામથી રેડીમેઈડ કાપડની દુકાન તેમજ અન્ય વેપારી ધંધાઓ સાથે સંકળાયેલા હિતેશ લક્ષ્મીકાંતભાઈ ગોહિલ (જાતે દરજી) અચાનક પત્ની અને બાળક સાથે ગાયબ થઈ ગયા છે. વેપારીઓના જણાવ્યા મુજબ હિતેશ ગોહીલે છેલ્લા કેટલાક સમયથી પ્રી-પ્લાનિંગના આધારે શહેરના વેપારીઓ પાસેથી નાણા અને માલ ઉધાર સ્વરૂપે મેળવ્યા બાદ એકાએક સંપર્ક તોડી દીધો છે.
પિતા સહિતના અન્ય પરિવારના સભ્યો દ્વારા પરમદિને રાત્રે કેટલાક વેપારીઓને ઝેરોક્ષ નોટિસ પાઠવી “અમારો કોઈ લેવા દેવા નથી” તેવી લેખિત જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. ત્યારબાદ હિતેશ ગોહીલ પોતાની પત્ની અને બાળક સાથે અચાનક ગાયબ થઈ ગયા હતા અને તેમના મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ આવતાં વેપારીઓમાં ચિંતા ફેલાઈ ગઈ છે.
પ્રાથમિક માહિતી મુજબ જામનગરના સુપરમાર્કેટના પચીસથી વધુ વેપારીઓ ઉપરાંત શહેરના અન્ય વેપારીઓના પણ નાણા અટવાયા છે. ઉપરાંત રાજકોટ, મોરબી, અમદાવાદ, સુરત સહિતના વેપારી સેન્ટરો તેમજ મુંબઈ અને પુણા સુધી વેપારિક જાળ ફેલાવી મોટી રકમ એકત્ર કરાઈ હોવાની ચર્ચા વેપારી વર્તુળોમાં ચાલી રહી છે.
વેપારીઓના જણાવ્યા મુજબ અંદાજે રૂપિયા 25 કરોડથી વધુની રકમનું ફૂલેકું ફેરવી વેપારી ફરાર થઈ ગયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મામલે આજે સુપરમાર્કેટના પચ્ચીસથી વધુ વેપારીઓ એકત્ર થઈ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી આરોપીને શોધી નાણાં પરત અપાવવા તેમજ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ સમગ્ર બનાવને લઈને જામનગર શહેરમાં અને ખાસ કરીને વેપારી આલમમાં ભારે ચકચાર મચી ગઈ છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.


