Gujarat

વડાપ્રધાન મોદીની સભામાં આશરે 2 લાખથી વધુ લોકો આવશે તેવો દાવો

By GS Team
19 Sep 20223 mins read
This article was originally published on 19 Sep 2022
વડાપ્રધાન મોદીની સભામાં આશરે 2 લાખથી વધુ લોકો આવશે તેવો દાવો

- 29 મીએ વડાપ્રધાન ભાવનગરની એક દિવસીય મુલાકાતે, બેઠકનો ધમધમાટ 

- ભાવનગરમાં રોડ શો બાદ જવાહર મેદાનમાં સભાનુ આયોજન, વડાપ્રધાન અનેક વિકાસ કાર્યોની ભેટ ભાવનગર જિલ્લાને આપશે

ભાવનગર : આગામી તા. ૨૯ મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ભાવનગર જિલ્લાની મુલાકાતે આવવાના છે. તેને ધ્યાને લઇને આજે કલેક્ટર કચેરી ખાતે ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાના લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ એક બેઠક આયોજન અને તૈયારીઓ અંગે યોજી હતી.

વડાપ્રધાન જ્યારે ભાવનગરની ધરતી પર આવી રહ્યાં છે ત્યારે તેમનું અદકેરું સ્વાગત થવું જોઇએ તેમ કેન્દ્રીય મંત્રીએ જણાવ્યુ હતું. આ માટેની તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા તેમણે આ બેઠકમાં કરી હતી. તેમણે લોજીસ્ટિક, વાહન વ્યવસ્થા, સેનિટેશન, પાણી, પાકગ અંગે ત્રણેય જિલ્લા વચ્ચે સંકલનથી કાર્ય કરવાં માટે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ગુણાત્મક રીતે કાર્ય કરીને વિવિધતા સાથે વડાપ્રધાનનું સ્વાગત થાય તે માટે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. વડાપ્રધાનની મુલાકાત સંદર્ભે શહેર અને જિલ્લામાં તે અંગેનો વ્યાપક પ્રચાર-પ્રસાર થાય તે માટે હોડગ, બેનર, ડેકોરેશન સહિતની વ્યવસ્થાઓ તથા પૂરતાં પ્રમાણમાં પાકગ, વાહન વ્યવસ્થા વગેરે અંગે તેમણે તંત્ર વાહકોને સૂચના આપી હતી.

શિક્ષણ મંત્રીએ વડાપ્રધાનનું સ્વાગત નાવિન્યપૂર્ણ રીતે થાય તે માટેના આયોજનોની વિસ્તૃત સમીક્ષા કરી હતી. વડાપ્રધાન આ મુલાકાતમાં ભાવનગર જિલ્લાને અનેક વિકાસ કાર્યોની ભેટ આપવાના છે તેમ જણાવ્યુ હતું. કચ્છના સાંસદએ તાજેતરમાં વડાપ્રધાનની કચ્છની મુલાકાતના અનુભવો વહેંચીને આ કાર્યક્રમને વધારે સફળ કેવી રીતે બનાવી શકાય તે માટેના સૂચનો કર્યા હતાં. આ સાથે તેમણે વડાપ્રધાનને આવકારવાં માટે ૨ થી ૨.૫ લાખ લોકો જવાહર મેદાન ખાતે ઉમટી પડશે. આ ઉપરાંત તેમના રોડ શો માં ૫૦,૦૦૦ લોકો ઉપસ્થિત રહેશે તે રીતનું આયોજન થઇ રહ્યા હોવાની માહિતી આપી હતી. 

કલેકટરએ વડાપ્રધાનની સંભવિત મુલાકાતને લઈને જરૂરી વ્યવસ્થાઓ માટે તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરી દેવામાં આવી છે તેમજ તમામ વ્યવસ્થાઓ સૂચારુંરૂપે થાય તે માટે માઇક્રો પ્લાનિંગ સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવી વિગતો ઉપસ્થિત મંત્રીઓ સમક્ષ રજૂ કરી હતી. આ બેઠકમાં પ્રભારી અને વન અને પર્યાવરણ મંત્રી, સાંસદ સહિતના જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

સભા સ્થળની મંત્રી સહિતનાએ મુલાકાત લીધી 

વડાપ્રધાનના કાર્યક્રમના આયોજનને લઇને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી બેઠક બાદ મંત્રીઓ અને પદાધિકારીઓ અને અધિકારીઓએ જવાહર મેદાન કે જ્યાં વડાપ્રધાનની સભા થવાની છે તેની તૈયારીઓની સમીક્ષા કરી હતી. મહાનુભાવોએ પ્રવેશ, પાકગ, મંડપ સહિતની વ્યવસ્થાઓ વિશેની જાણકારી મેળવી તેમના ઉપયોગી સૂચનો આપ્યાં હતાં.

વડાપ્રધાનના સંભવિત રોડ શોના માર્ગની ચકાસણી કરાઈ 

વડાપ્રધાનની મુલાકાત દરમિયાન તેઓ એક રોડ શો પણ કરવાના છે તેને લઇને તેમના સંભવિત રોડ શોના માર્ગ એરપોર્ટ રોડથી લઇને રૂપાણી સર્કલ સુધીના સંભવિત માર્ગ પર કોન્વોય સ્વરૂપે ફરીને તેની જાત તપાસ કરી હતી. આ સંભવિત રોડ શો માટે ટ્રાફિક, રોડની પહોળાઇ, તેમની સુરક્ષા સહિતના તમામ પાસાઓની જાત તપાસ કરી હતી.