Tathya Patel Gets Regular Bail: જુલાઈ 2023માં અમદાવાદના ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં 9 નિર્દોષ લોકોના જીવ લેનાર આરોપી તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપતા નિયમિત જામીન મંજૂર કર્યા છે. તથ્યના વકીલે આ જામીન મળ્યાની સત્તાવાર પુષ્ટિ કરી છે. આ નિર્ણય સાથે, અકસ્માત સર્જ્યા બાદ લગભગ પોણા ત્રણ વર્ષનો જેલવાસ ભોગવ્યા પછી હવે તથ્ય પટેલ જેલમાંથી નિયમિત જામીન પર બહાર આવશે.
નિયમિત જામીન કેસમાં એક મોટો વળાંક
આ કેસની ટ્રાયલ કોર્ટમાં હાલમાં નિયમિતપણે કાનૂની કાર્યવાહી અને સુનાવણી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ફેબ્રુઆરી મહિનામાં સુપ્રીમ કોર્ટે આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ટ્રાયલ કોર્ટને મે મહિના સુધીમાં 25 જેટલા સાક્ષીઓ તપાસી લેવા માટે કડક સૂચના આપી હતી. ટ્રાયલ કોર્ટમાં ચાલી રહેલી આ પ્રક્રિયા વચ્ચે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આ જામીન કેસમાં એક મોટો વળાંક છે.
સુપ્રીમ કોર્ટે શું નોંધ્યું?
મહત્વનું છે કે તથ્ય પટેલના વકીલ આઈ.એચ.સૈયદ અને ઝીલ શાહે સુપ્રીમ કોર્ટ સમક્ષ તથ્યની જામીન અરજી મૂકી હતી. 191 સાહેદ પૈકી લગભગ 29 જેટલા સાક્ષીઓની તપાસ પૂર્ણ થઈ હોવાની સુપ્રીમ સમક્ષ જામીનની રજૂઆત મૂકવામાં આવી હતી, બાકીના સાક્ષીઓ તપાસવાના બાકી છે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે તથ્ય ઉપર IPC 304ની કલમ લાગેલી છે ,પરંતુ હજુ સુધી તે તેમાં દોષિત ઠર્યો નથી, મૃતકોના પરિવારને વળતર વિશે સુપ્રીમે કહ્યું અત્યારે ટ્રાયલ ચાલુ હોવાથી વળતર બાબતે નિર્ણય તેને અસર કરી શકે છે. અકસ્માત બાદ તથ્ય પટેલે લગભગ 02 વર્ષ અને 10 મહિના જેલમાં કાઢ્યા બાદ હવે જામીન પર બહાર આવશે.
આ પણ વાંચો: અમદાવાદમાં ઇબોલા વાઈરસને પગલે એલર્ટ, આફ્રિકાથી આવેલા 11 લોકો હોમ આઇસોલેટ
શું હતી ઘટના?
19મી જુલાઈ, 2023ની રાત્રે આરોપી તથ્ય પટેલે જગુઆર કાર દ્વારા ઇસ્કોન બ્રિજ પર ભયંકર અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં 9 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય 13 લોકો ગંભીર રીતે ઈજા પામ્યા હતા. તથ્ય પટેલ તેમજ તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે IPC 279, 337, 338, 304, 308 અને મોટર વ્હિકલ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.


