Get The App

પ્રજા મોંઘવારીથી ત્રસ્ત અને રાજકીય પક્ષો ચૂંટણીમાં મસ્ત! આર્થિક મંદીમાં ફેક્ટરી-કારખાના ઠપ

Updated: Apr 13th, 2026

GS TEAM

Google News
Google News
પ્રજા મોંઘવારીથી ત્રસ્ત અને રાજકીય પક્ષો ચૂંટણીમાં મસ્ત! આર્થિક મંદીમાં ફેક્ટરી-કારખાના ઠપ 1 - image


Economic Slowdown Gujarat: એક તરફ સામાન્ય માણસ રાંધણ ગેસના બાટલાથી માંડીને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ના ભાવ જોઈને ઘરનિર્વાહ કેવી રીતે કરવું તે અંગે મૂંઝવણ અનુભવી રહ્યો છે. પેટ્રોલના ભાવ સાંભળીને સાઈકલ ચાલવાનું વિચારી રહ્યો છે, ત્યાં બીજી તરફ, રાજકીય પક્ષો લોકશાહીનું પર્વ ઉજવવા બેતાબ બન્યાં છે. યુદ્ધના ઓછાયા અને આ થકી મંદીને કારણે રાજ્યના ફેક્ટરી, કારખાનામાં સ્મશાનવત શાંતિ છે, ત્યારે જ ઉમેદવારોના પ્રચાર ભૂંગળાનો અવાજ વધુ બુલંદ બન્યો છે. લોકોની વેદના જાણવાને બદલે સત્તાધીશોને સ્થાનિક સ્વરાજ્ય ના નામે 'સત્તાનું સામ્રાજ્ય' સ્થાપવાની ઉતાવળ છે.

ગેસના અભાવે જ હોટલ-રેસ્ટોરન્ટ ઉદ્યોગ લકવાગ્રસ્ત બન્યા

યુધ્ધને લીધે સમગ્ર વિશ્વમાં ગેસ-પેટ્રોલ સહિત ઉર્જાની સમસ્યા આજે નહીં તો, કાલે વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવા એંધાણ છે. હજુ ગુજરાતમાં રાંધણગેસ માટે લોકો આમથી તેમ આંટાફેરા મારી રહ્યાં છે. ગેસના અભાવે જ હોટલ-રેસ્ટોરન્ટ ઉદ્યોગ લકવાગ્રસ્ત બન્યો છે. પ્લાસ્ટિક, સિરામીક, સ્ટીલ, ટેક્સટાઇલ્સ, ઓટોમોબાઇલ્સ, બ્રાસ પાર્ટસ સહિત અન્ય ઉદ્યોગો પણ યુદ્ધની જવાળાથી દાઝ્યાં છે. ઉદ્યોગકારોને તો લાખોનો આર્થિક ફટકો પડ્યો છે. સાથે સાથે હજારો શ્રમિકો રોજીરોટી ગુમાવીને 'વતનની વાટ' પકડી રહ્યા છે, તેમને જોઈને નેતાઓને તો એમ લાગતું હશે કે આ તો ચૂંટણીની 'પદયાત્રા' નીકળી છે.

આ પણ વાંચો: ભાજપમાં અસંતોષણનો ચરુ ઉકળ્યો, નેતાઓ ડેમેજ કન્ટ્રોલ કરવા દોડ્યા, બંધબારણે બેઠકોનો દોર

પ્રજાની મજબૂરી રાજનેતાઓ માટે મનોરંજન

સત્તાનો નશો એટલો ચડ્યો છેકે, પ્રજાની મજબૂરી રાજનેતાઓ માટે ’મનોરંજન' બની ગઈ છે. શાસકોને તો જનતાની લાચારી દેખાતી નથી. ચૂંટણી પ્રચાર પાછળ કરોડોનો ધુમાડો થશે પણ પ્રજાના પ્રશ્નો ઉકેલવા માટે સરકાર પાસે ખજાનો નથી. ગુજરાતની જનતા આજે અનેક સમસ્યાઓથી પીડિત છે તેમ છતાંય સરકાર તો છતાં 'ઓલ ઈઝ વેલ'ના બણગાં ફૂંકી રહી છે. મોંઘવારી અને ભ્રષ્ટાચારના રાક્ષસે સામાન્ય માણસનું કમરતોડ કરી નાખ્યું છે ત્યારે ધર્મ, રાષ્ટ્રવાદ સહિત વિવિધ મુદ્દાઓને આગળ | ધરી રાજનેતાઓ `સત્તા કબજે કરવાનો , 'રાજકીય ખેલ' ખેલવામાં વ્યસ્ત બન્યાં છે. આ કારણોસર થોડા દિવસ પહેલા જ | પેટ્રોલ પંપો પર લાગેલી લાઇનો ભૂલાઇ ગઈ છે. રાંધણગેસની અછતને કોરાણે મૂકૂ દેવાઈ છે.