Gujarat

વિશ્વના દેશોમાં ભારતીય મસાલાના નમૂના ફેલ થતાં સરકાર જાગી, ગુજરાતમાં 300 સેમ્પલ્સ લેવાયા

By GS Team
19 May 20243 mins read
This article was originally published on 19 May 2024
TukuTouch Logo
મસાલામાં ઈથિલીન ઓક્સાઈડના ઘટકો પકડાતા ભારતમાંથી મસાલાની થતી નિકાસમાં ગાબડું પડી જતું અટકાવવા માટે ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરીએ ગુજરાતમાંથી મસાલાના ઉત્પાદન સાથે સંકળાયેલા 300 ફેક્ટરીઓમાંથી સેમ્પલ્સ લઈને તેની ચકાસણીનો આરંભ કરી દીધો છે. હજી વધુ સેમ્પલ્સ એકત્રિત કરવાની કામગીરી ચાલુ જ હોવાનું ફૂડ એન્ડ ડ્રગ કમિશનર હેમંત કોશિયાનું કહેવું છે. ગુજરાતમાંથી મિક્સ મસાલાની નિકાસ કરતાં 13 એકમોના સેમ્પલ્સ પણ લેવામાં આવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિશ્વના દેશોમાં ભારતીય મસાલાના નમૂના ફેલ થતાં સરકાર જાગી, ગુજરાતમાં 300 સેમ્પલ્સ લેવાયા

Indian Spices: મસાલામાં ઈથિલીન ઓક્સાઈડના ઘટકો પકડાતા ભારતમાંથી મસાલાની થતી નિકાસમાં ગાબડું પડી જતું અટકાવવા માટે ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરીએ ગુજરાતમાંથી મસાલાના ઉત્પાદન સાથે સંકળાયેલા 300 ફેક્ટરીઓમાંથી સેમ્પલ્સ લઈને તેની ચકાસણીનો આરંભ કરી દીધો છે. હજી વધુ સેમ્પલ્સ એકત્રિત કરવાની કામગીરી ચાલુ જ હોવાનું ફૂડ એન્ડ ડ્રગ કમિશનર હેમંત કોશિયાનું કહેવું છે. ગુજરાતમાંથી મિક્સ મસાલાની નિકાસ કરતાં 13 એકમોના સેમ્પલ્સ પણ લેવામાં આવ્યા છે.

પાંચ લેબોરેટરીઓમાં તેની ચકાસણી ચાલુ કરવામાં આવી

આ ઉપરાંત તેમનું કહેવું છે કે 'ગુજરાતમાં પાંચ લેબોરેટરીઓમાં તેની ચકાસણી ચાલુ કરવામાં આવી છે. એનએબીએલ એક્રેડિટેશન ધરાવતી લેબોરેટરીમાં જ તેની ચકાસણી કરાવીને રિપોર્ટ આપવાનો ફુડ એન્ડ સ્ટ્રાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આદેશ કર્યો છે.' જોકે અમદાવાદની એફએસએસએઆઈના અધિકારીઓ આ તે માટે બાબતમાં જોઈએ તેવી સક્રિયતા દર્શાવતા ન હોવાનું જણાય છે.

ગુજરાતમાં 1 હજારથી વધુ માલિકોને લાઈસન્સ આપાયા છે

ગુજરાતમાં મિક્સ મસાલા તૈયાર માટે 1000થી વધુ માલિકોને લાઈસન્સ આપવામાં આવેલા છે. તેમને ત્યાં જઈને હળદર, લાલ મરચાંનો પાવડર, ધાણા, જીરુ સહિતના અન્ય મસાલાઓના સેમ્પલ્સ લેવામાં આવી રહ્યા છે. ઇથિલીન ઓક્સાઈડ એક પ્રકારનો રંગહીન ગેસ છે. છેલ્લા 30 વર્ષથી ઇથિલીન ઓક્સાઈડનો મસાલામાં સ્ટરીલાઈઝિંગ એજન્ટ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઈ-કોલી અને સાલ્મોનેલ્લા જેવી જીવાતો મસાલામાં ન પડે તે માટે તેનો છંટકાવ કરવામાં આવે છે. મેડિકલ ડિવાઈઝને જંતુમુક્ત કરવા માટે પણ ઇથિલીન ઓક્સાઈડનો ઉપયોગ કરવામાં આવે છે. યુઝ એન્ડ થ્રો સિરિન્જ અને કેથેટર્સમાં પણ ઈથિલીન ઓક્સાઈડનો ઉપયોગ કરવામાં આવે છે.

નેપાળે ભારતના મસાલાના કન્સાઈનમેન્ટ પર બ્રેક લગાવી

એમડીએચ મસાલામાં ઈથિલીન ઓક્સાઈડનું પ્રમાણ વધુ આવ્યું તે પછી નેપાળે પણ ભારતમાંથી આયાત કરેલા મસાલાના કન્સાઈનમેન્ટ પર બ્રેક લગાવી દીધી છે. ઈથિલીન ઓક્સાઈડને બદલે વરાળમાંથી પસાર કરીને મસાલાને જંતુમુક્ત બનાવી શકાય છે. પરંતુ તે પ્રક્રિયા ઈથિલીન ઓક્સાઈડની પ્રક્રિયાથી ચારથી પાંચ ગણી મોંઘી છે. સરકાર ઇથિલીન ઓક્સાઈડની સમસ્યાનો નીવેડો ન લાવે તો આ વરસે મસાલાની નિકાસમાં 40થી 45 ટકાનું ગાબડું પડી જવાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે. 2021-22ના વર્ષમાં ભારતમાંથી 15 લાખ ટનથી વધારે મસાલાની નિકાસ કરવામાં આવી હતી. ચીન, અમેરિકા, કેનેડા, મલેશિયા, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, યુરોપિયન સંઘના દેશો, બ્રિટનમાં ભારતીય મસાલાની નિકાસ કરવામાં આવે છે.

ઈથિલીન ઓક્સાઈડની આરોગ્ય પર શી અસર પડે

મસાલામાં જીવાત હોય તો તે મરી જાય અને જીવાત નવેસરથી સક્રિય ન થાય તેના પર ઇથિલિન ઓક્સાઈડનો હળવો છંટકાવ કરીને નિકાસ કરવામાં આવે છે. પરંતુ તેને પરિણામે માથાને દુઃખાવો થવો, ચક્કર આવવા, ઉબકાં આવવા, થાક લાગવો, શ્વસનતંત્રમાં અસહજ અસ્વસ્થતાની લાગણી થવી, ઉલટી થવી અને પેટમાં ગરબડ થવાની સમસ્યા થતી હોવાનું જોવા મળે છે. ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કમિશનર હેમંત કોશિયા કહે છે કે 'મસાલાના એક અબજ પાર્ટિકલ્સ-કણમાં એટલે કે અંદાજે એક કિલો મસાલામાં 0.1 એમએલથી ઓછી માત્રામાં ઈથિલિન ઓક્સાઈડ હોવું જરૂરી છે. તેનાથી વધુ હોય તો તેને માનવ આરોગ્ય માટે જોખમી ગણવામાં આવે છે.' ઇથિલીન ઓક્સાઈન્ડના ઘટકો લાંબા સમય સુધી માનવ શરીરમાં જાય તો તેને પરિણામે કેન્સર થવાનો ખતરો પણ રહેલો છે. અમેરિકા અને કેનેડા જેવા દેશોમાં એક કિલોએ તેમાં સાત મિલીગ્રામ ઈથિલીન ઓક્સાઈડ હોય તો તેને માન્ય રાખવામાં આવે છે. સિંગાપોરમાં ૫૦ એમજી જેટલું ઈથિલીન ઓક્સાઈડ હોય તો તેને માન્ય રાખવામાં આવે છે.