Gujarat

અમદાવાદમાં કોરોનાના નવા ૬૧૯૧ કેસ, છ સંક્રમિત દર્દીનાં મોત

By GS Team
23 Jan 20222 mins read
This article was originally published on 23 Jan 2022
અમદાવાદમાં કોરોનાના નવા ૬૧૯૧ કેસ, છ સંક્રમિત દર્દીનાં મોત

અમદાવાદ,રવિવાર,23 જાન્યુ,2022

અમદાવાદમાં  સતત બીજા દિવસે કોરોનાના નવા કેસમાં ઘટાડો થવા પામ્યો હતો.૨૨ જાન્યુઆરીએ શહેરમાં કોરોનાના ૮૧૯૪ કેસ નોંધાયા હતા.રવિવારે એક જ દિવસમાં ૨૦૦૩ જેટલા કેસ ઘટવાની સાથે નવા ૬૧૯૧ કેસ અને છ સંક્રમિત દર્દીના મોત નોંધાયા હતા.ચાર દિવસમાં કોરોનાના ૩૨,૮૪૯ કેસ અને ૨૬ લોકોના મોત નોંધાયા હતા.એસ.વી.પી.હોસ્પિટલમાં રવિવારે કોરોનાના ૧૭૧ દર્દી દાખલ હતા.આ પૈકી ૬૯ દર્દી ઓકિસજન અને આઈસીયુ બેડ ઉપર સારવાર લઈ રહ્યા છે.

૧ ડીસેમ્બર-૨૦૨૧થી ૨૩ જાન્યુઆરી-૨૦૨૨ સુધીના સમયમાં અમદાવાદ શહેરમાં કોરોનાના કુલ ૯૭,૦૭૮ કેસ નોંધાયા હતા.૩૭૧૬૯ દર્દી સાજા થયા હતા.શહેરમાં હાલમાં ૪૩ હજારથી પણ વધુ એકિટવ કેસ છે.રવિવારે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી અગાઉ માઈક્રો કન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવેલા ૧૮૧ સ્થળ પૈકી ૧૧ સ્થળ નિયંત્રણ મુકત કરી નવા સોળ સંક્રમિત સ્થળ માઈક્રો કન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવતા કુલ ૧૮૬ સંક્રમિત સ્થળ એકિટવ માઈક્રોકન્ટેઈન્મેન્ટ તરીકે અમલમાં મુકવામાં આવ્યા છે.

રવિવારે  માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવેલા ૧૬ સંક્રમિત સ્થળ પૈકી ૧૨ સ્થળ પશ્ચિમ ઉપરાંત દક્ષિણ-પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં મુકવામાં આવ્યા હતા.દક્ષિણ ઝોનના ત્રણ અને ઉત્તર ઝોનના એક સંક્રમિત સ્થળને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા હતા.દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં  સાઉથ બોપલ,સરખેજ ઉપરાંત વેજલપુરના સંક્રમિત સ્થળને માઈક્રો કન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા હતા.ઉત્તર ઝોનના કૃષ્ણનગરના એક સ્થળ ઉપરાંત ઉત્તર-પશ્ચિમ ઝોનમાં બોપલ અને થલતેજ વિસ્તારના સંક્રમિત સ્થળને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકાયા છે.પશ્ચિમ ઝોનમાં ચાંદખેડાના ચાર અને નવરંગપુરાના એક સ્થળ ઉપરાંત દક્ષિણ ઝોનમાં ઈસનપુરના બે અને મણિનગરના એક સંક્રમિત સ્થળને માઈક્રો કન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા હતા.

રવિવારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ રસીકરણ કેન્દ્રો ઉપરથી ૩૧૩૦ લોકોને કોરોના રસીનો પહેલો ડોઝ, ૭૬૭૭ લોકોને બીજો ડોઝ અને ૩૩૯૫ લોકોને પ્રિકોશન ડોઝ એમ કુલ મળીને ૧૪૨૦૨ લોકોને કોરોના વેકિસન આપવામાં આવી હતી.શહેરમાં ૧૬ જાન્યુઆરી-૨૦૨૧થી ૨૩ જાન્યુઆરી-૨૦૨૨ સુધીમાં કુલ ૯૨,૧૬,૩૧૬ ડોઝ નાગરિકોને અપાયા છે.૫૨,૨૮,૭૧૭ લોકોને પહેલો ડોઝ અને ૩૮,૮૬,૭૨૭ લોકોને બીજો ડોઝ તથા ૧,૦૦,૮૭૨ લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો હતો.

મ્યુનિ.ના અધિકારીઓ-કર્મચારીઓને બે દિવસ પ્રિકોશન ડોઝ અપાશે

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા તમામ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઉપરાંત તમામ વિભાગોના ઉપરી અધિકારી તથા કર્મચારીઓને આજે અને આવતીકાલ ૨૫ જાન્યુઆરીના રોજ સવારે ૧૦ થી સાંજના પાંચ સુધી ટાગોરહોલ ખાતે કોવિડ વેકિસનનો પ્રિકોશન ડોઝ આપવામાં આવશે.તમામે આધારકાર્ડ અને વેકિસનનો બીજો ડોઝ લીધો હોવાનુ સર્ટિફિકેટ બતાવવાનુ રહેશે.