- પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી તપાસ હાથ ધરી
- બંને કૌટુંબિક સગા થતા હોવાથી ભવિષ્યમાં એક નહીં શકે તેમ હોવાથી આત્મહત્યા કરી હોવાનું અનુમાન
પાટડી : દસાડા તાલુકાના બામણવા ગામની સીમમાં પ્રેમી પંખીડાએ એક નહીં શકે તેમ હોવાથી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે જે અંગે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
દસાડા તાલુકાના બામણવા ગામમાં રહેતા યુવક કૃણાલ રમેશભાઈ ઠાકોર (ઉં.વ.૨૧) અને યુવતી જાનકી સતીષભાઈ ઠાકોર (ઉં.વ.૧૯)ની એકબીજા સાથે નજર મળી જતા પ્રેમસંબંધ બંધાયો હતો અને બંને એકબીજાને અવારનવાર મળતા હતા પરંતુ આ પ્રેમ સંબંધ બંનેના પરિવારજનોને પસંદ નહોતો. તેમજ બંને કૌટુંબિક સગા થતા હોવાથી ભવિષ્યમાં લગ્ન કરી શકે તેમજ એક થઈ શકે તેમ નહીં હોવાથી તેનું મનદુઃખ રાખી બંને પ્રેમી પંખીડાએ ગામમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાનું હાલ અનુમાન સેવાઈ રહ્યું છે. જ્યારે આ બનાવને પગલે બંનેના પરિવારજનો સહિત સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. જ્યારે આ બનાવની જાણ સ્થાનિક પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને બંને પ્રેમી પંખીડાના મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.


