મ્યુનિ. કોર્પોરેશનની દબાણ અને સિક્યોરિટી શાખાએ આજે ખોડીયાર નગર અને સનફાર્મા રોડ ખાતે ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
ખોડીયાર નગરની સાનિધ્ય સોસાયટીમાં સાડા સાત મીટર આંતરિક સોસાયટીના રોડ પર મ્યુનિ. કોર્પોરેશનની ટીમે ૧૪ મકાનોના કમ્પાઉન્ડ વોલ અને ઓટલા તોડી પાડ્યા હતા.
મ્યુનિ.અધિકારીએ જણાવ્યું હતું કે, વિજય ચાવડા નામના અરજદારે વોર્ડ ઓફિસે તથા સીએમ અને પીએમ સુધી આ દબાણો દૂર કરવાની રજૂઆત કરતા તેના ભાગરૂપે આ કાર્યવાહી કરી છે. આ દરમિયાન કેટલાક લોકોએ કામગીરી સામે રોષ દર્શાવ્યો હતો.
આ ઉપરાંત, સનફાર્મા રોડ ખાતે ઝાડેશ્વર નગર વિસ્તારમાં ૩૫ કાચા-પાકા મકાનોના દબાણો આજે દૂર કરાયા હતા. મ્યુનિ. અધિકારીઓએ જણાવ્યું હતું કે, અટલાદરા ટી.પી. ૨૦ અને કલાલી બ્રિજની નીચેથી ભીમ તળાવ સુધી ૧૨ મીટરના ટીપી રોડને ખુલ્લો રાખવા આ કાર્યવાહી કરી છે.
આ દરમિયાન કેટલાક રહીશોએ કામગીરીનો વિરોધ કર્યો હતો, પરિવારો પોતાના માલસામાન બચાવવા દોડધામ કરતાં નજરે પડ્યાં હતા.રહીશોએ કહ્યું હતું કે, પહેલા મકાન આપો પછી તોડો તેવી રજૂઆત છતાં મકાનો આપ્યા વિના કાર્યવાહી કરી છે.


