Get The App

જૂનાગઢ તા.પં.માં પક્ષપલટો નહીં થાય તો 'ચિઠ્ઠી' નક્કી કરશે પ્રમુખ!

Updated: May 1st, 2026

GS TEAM

Google News
Google News
જૂનાગઢ તા.પં.માં પક્ષપલટો નહીં થાય તો 'ચિઠ્ઠી' નક્કી કરશે પ્રમુખ! 1 - image

ભાજપ અને આપને 9-9 બેઠક મળતાં મામલો રસપ્રદ બન્યો  : પ્રથમવાર બહુમતીના અભાવે શાસનનો ફેંસલો જનમતના આંકડાઓથી નહીં પણ નસીબના આધારે ચિઠ્ઠી નાખીને કરાય તેવી શક્યતા 

જૂનાગઢ, : લોકશાહીનાં પર્વ સમાન તાજેતરની તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામોએ જૂનાગઢમાં ભારે ઉત્તેજના જગાવી છે. જૂનાગઢ તાલુકા પંચાયતની કુલ 18 બેઠકો પર રસાકસીભર્યા જંગ બાદ જનતાએ કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી આપવાને બદલે સત્તાનાં સમીકરણોને અધ્ધરતાલ છોડી દીધા છે. ભાજપ અને આપ બંનેને ફાળે 9-9 બેઠકો આવતાં હવે સત્તાનું સુકાન કોણ સંભાળશે તે રસપ્રદ બન્યું છે.

જો વર્તમાન પરિસ્થિતિ મુજબ કોઈપણ પક્ષના સભ્ય પક્ષપલટો ન કરે તો લોકશાહીમાં ભાગ્યે જ જોવા મળતું દ્રશ્ય જૂનાગઢમાં સર્જાશે. પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી સમયે જો બંને પક્ષો વચ્ચે મતદાનમાં ટાઈ પડશે તો અંતિમ નિર્ણય ચિઠ્ઠી દ્વારા લેવામાં આવશે. ચૂંટણી અધિકારી દ્વારા સૌ પ્રથમ પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ફોર્મ ભરાવવામાં આવશે. ત્યારબાદ નિયમ મુજબ મતદાન હાથ ધરાશે. 18 સભ્યોના ગૃહમાં જો ભાજપ અને આપ બંનેને 9-9 મત મળશે તો વિજેતા જાહેર કરવા માટે ચિઠ્ઠી ઉછાળવામાં આવશે.

ચિઠ્ઠીમાં જે પક્ષના ઉમેદવારનું નામ ખૂલશે તે વ્યક્તિ જૂનાગઢ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે નિયુક્ત થશે. આ ચૂંટણીમાં એક અનોખો સંયોગ એ પણ સર્જાઈ શકે છે કે પ્રમુખ એક પક્ષના અને ઉપપ્રમુખ બીજા પક્ષના બને, અથવા તો બંને હોદ્દા કોઈ એક જ પક્ષના ફાળે જાય. પ્રથમવાર બહુમતીના અભાવે જૂનાગઢ તાલુકા પંચાયતના શાસનનો ફેંસલો જનમતના આંકડાઓથી નહીં પણ નસીબના આધારે ચિઠ્ઠી નાખીને કરવામાં આવશે. હવે આખા જિલ્લાની નજર આગામી સામાન્ય સભા અને પ્રમુખની ચૂંટણી પર છે. તો આવનારો સમય અને ચિઠ્ઠી જ કહેશે.