Get The App

દિલ્હીની આગની દુર્ઘટનાએ સુરત તંત્રને જગાડ્યું : હોટલ-રેસ્ટોરન્ટમાં ફાયર સેફ્ટીનો અભાવ હશે તો સીલિંગ સુધીની કાર્યવાહી

Updated: Jun 4th, 2026

GS TEAM

Google News
Google News
દિલ્હીની આગની દુર્ઘટનાએ સુરત તંત્રને જગાડ્યું : હોટલ-રેસ્ટોરન્ટમાં ફાયર સેફ્ટીનો અભાવ હશે તો સીલિંગ સુધીની કાર્યવાહી 1 - image

Surat Corporation Fire Safety : દિલ્હીમાં થયેલી ભયાનક આગ દુર્ઘટનામાં 21 લોકોના મોત બાદ સુરત મહાનગરપાલિકા અને ફાયર વિભાગ હરકતમાં આવ્યા છે. શહેરની હોટલ અને રેસ્ટોરન્ટમાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન થઈ રહ્યું છે કે નહીં તેની તાકીદે ચકાસણી શરૂ કરવામાં આવી છે. સંખ્યાબંધ લોકોની અવર જવર હોય તેવી હોટલ રેસ્ટોરન્ટમાં ફાયર સેફ્ટીની બેદરકારી દિલ્હી જેવી મોટી દુર્ઘટના ન થાય તે માટે પાલિકાએ કડક વલણ અપનાવ્યું છે.

મહાનગરપાલિકાના ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તમામ ઝોનને આદેશ આપવામાં આવ્યો છે સમગ્ર શહેર વિસ્તારની હોટલ અને રેસ્ટોરન્ટમાં તાત્કાલિક ધોરણે ફાયર સેફ્ટી ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવે. ખાસ કરીને ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેઝર્સ એક્ટ હેઠળ શિડ્યુલ-3 માં આવતી હોટલ તથા રેસ્ટોરન્ટની વિગતવાર ચકાસણી કરવામાં આવશે.

તપાસ દરમિયાન જો કોઈ હોટલ કે રેસ્ટોરન્ટ દ્વારા ફાયર વિભાગ પાસેથી ફરજિયાત ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવામાં આવ્યું ન હોય, ફાયર ફાઈટિંગ અને ફાયર સેફ્ટી સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી ન હોય, સ્થાપિત કરાયેલી સિસ્ટમ કાર્યરત સ્થિતિમાં ન હોય અથવા ફાયર સેફ્ટી સર્ટિફિકેટનું સમયસર રિન્યુઅલ કરવામાં આવ્યું ન હોય તો આવા તમામ એકમો સામે નિયમો મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.

પાલિકા તંત્રે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે માત્ર નોટિસ આપીને સંતોષ માનવામાં નહીં આવે. નિયમોના ભંગની ગંભીરતા મુજબ નોટિસ આપવા ઉપરાંત જરૂરી હોય ત્યાં એકમોને સીલ કરવાની કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. આગ જેવી દુર્ઘટનાઓમાં સેકન્ડોની બેદરકારી અનેક પરિવારો માટે જીવનભરની પીડા બની શકે છે, ત્યારે ફાયર સેફ્ટી સાથે કોઈપણ પ્રકારનું સમાધાન નહીં કરવામાં આવે તેવો સંદેશ તંત્રે આપ્યો છે.

અધિકારીઓને આ કામગીરી તાકીદના ધોરણે પૂર્ણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. દરેક ઝોન દ્વારા હાથ ધરાયેલી તપાસ, નોટિસ અને કાર્યવાહીનો વિગતવાર અહેવાલ પણ ઉચ્ચ કચેરીમાં રજૂ કરવાનો રહેશે. દિલ્હી જેવી દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય અને શહેરના નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત બને તે માટે સુરત મહાનગરપાલિકાએ હવે ફાયર સેફ્ટીના મુદ્દે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે.